પડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂર
એક આરોપીએ સેશન્સ અદાલતમાં અને બીજા આરોપીએ હાઇકોર્ટમાં જેલ મુકત થવા અરજી કરી’તી
પડધરી તાલુકાના ફતેપર ગામે રહેતા અશ્વિન પરસોતમભાઈ ગજેરા નામનો યુવાન તા.18/5/2024 ના રોજ પોતાની વાડીએ હતો ત્યારે અશ્વિન ઉર્ફે અશોક છગનભાઈ બાળા, ભરત આયદાનભાઈ બાળા, સંદીપ માડમભાઈ બાળા અને ધાર્મિક મેણદભાઈ બાળા કાર લઈને ધસી આવ્યા હતા અને તું મારી ઘરવાળી સામુ કેમ જુએ છે તેમ કહી ધોકા વડે માર માર્યો હતો અને જો કોઈને કહીશ કે પોલીસ ફરિયાદ કરી તો આખા પરિવારને જાનથી મારી નાખફવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલો અશ્વિન ગજેરા વાડીએથી પોતાનું બાઈક લઈને રાત્રીના ઘરે આવતા તેના શરીર પરના ઇજાના નિશાનો અંગે માતા રમાબેન ગજેરાએ પૂછપરછ કરતા અશ્વિન ગજેરાએ આપવીતી વર્ણવી હતી.
જેથી અશ્વિન ગજેરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અશ્વિન ગજેરાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે અશ્વિન ગજેરાની માતા રમાબેન પરસોતમ ભાઈ ગજેરાએ પડધરી પોલીસ મથકમાં આરોપી અશ્વિન ઉર્ફે અશોક છગનભાઈ બાળા, ભરત આયદાન ભાઈ બાળા, સંદીપ માડમભાઈ બાળા અને ધાર્મિક મેણદભાઈ બાળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જે કેસમાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આરોપીઓ પૈકી ભરત બાળાએ રાજકોટ સેશન્સ અદાલતમાં અને અશોક બાળાએ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે બંને જામીન અરજી ચાલી જતા આરોપીના વકીલે રજુઆત કરેલી હતી કે આ ગુનામાં મૃતકને હાલના અરજદારે કોઈ ઈજા પહોંચાડેલ નથી. ફરીયાદ એક જ સમાજના બધા સભ્યોને ખોટી રીતે સંડોવી દેવા પાંચ દીવસ મોડી ફરીયાદ કરવામાં આવેલ છે તેમજ મરણ જનાર જયારે હોસ્પીટલમાં દાખલ થયેલ ત્યારે પણ કોઈ આરોપીઓના નામ આપેલ નથી કે કોઈ વિરૂૂધ્ધ ફરીયાદ કરવામાં આવેલ નથી. બચાવપક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ સેશન્સ અદાલત દ્વારા ભરત બાળાને અને હાઇકોર્ટ દ્વારા અશોક બાળાને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં આરોપીઓ વતી ગુજરાત હાઈકોર્ટમાં વિરાટભાઈ પોપટ, રાજકોટના યુવા એડવોકેટ ભગીરથ સિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, સાગરસિંહ પરમાર અને જયપાલ સિંહ સોલંકી રોકાયા હતા.