ગોંડલમાં પત્ની સાથે ઝઘડી નીકળી ગયેલા વૃધ્ધને વડિયા બોલાવી સાળાએ બન્ને પગ કાપી કરેલી હત્યા
ગોંડલના વોરા કોટડા રોડ પર વિજય નગરમા રહેતા વૃધ્ધ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ 15 દિવસથી ઘરેથી નીકળી ગયા હતા અને ગઇકાલે તેમના ભાણેજના ઘરે પહોંચ્યા હતા. આ સમયે વૃધ્ધને સમાધાન કરવાનાં બહાને તેમના સાળાઓએ વડીયા ગામ નજીક બોલાવી તલવાર,કુહાડી જેવા ઘાતક હથીયારો વડે હુમલો કરી વૃધ્ધના બન્ને પગ કાપી નાખી અત્યંત ક્રુરતા પુર્વક હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી છે.
વધુ વિગતો મુજબ ગોંડલનાં વિજય નગરમા રહેતા વૃધ્ધ દીનેશભાઇ વનાભાઇ સોલંકી (ઉ.વ. 60 ) 15 દીવસ પહેલા તેમનાં પત્ની રતનબેન સાથે ઝઘડો કર્યા બાદ ઘરેથી નીકળી ગયા હતા અને ગઇકાલે તેઓ ભાણેજ ભરત જીણાભાઇ રાઠોડનાં ઘરે ગયા હતા . ત્યારબાદ તેઓને સાળાનો સમાધાન માટે કોલ આવતા દીનેશભાઇ અમરેલી જીલ્લાનાં વડીયા ગામ પાસે ગયા હતા . જયા તેમનાં સાળા કાનો ઉર્ફે કાનજી મેરામ , હકુ મેરામ, જુદુરામ મેરામ અને બાઘો મેરામ સહીતનાં શખ્સોએ કુહાડી અને પાઇપનાં ઘા ઝીકી બન્ને પગ કાપી નાખતા તેમનાં ભાણેજ ભરતે કપાયેલા પગ કોથળામાં નાખી દીનેશભાઇને સૌ પ્રથમ અમરેલીની હોસ્પીટલમા અને બાદમા અહી રાજકોટ સિવીલ હોસ્પીટલમા સારવાર માટે દાખલ કર્યા હતા. જયા સારવાર દરમ્યાન દીનેશભાઇએ દમ તોડી દેતા બનાવ હત્યામા પલ્ટાયો હતો.
વૃધ્ધ દીનેશભાઇ સોલંકીને સંતાનમા 3 દીકરા અને ર દીકરી છે તેમજ પોતે છ ભાઇ 3 બહેનમા ત્રીજા નંબરનાં હતા . તેમજ ચોકીદારી કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા.
દીનેશભાઇ 1પ દીવસ પહેલા પત્ની રતનબેન સાથે ઝઘડો કરી ઘરેથી જતા રહયા હતા અને ગઇકાલે સાંજનાં સમયે ભરતભાઇનાં ઘરે ગયા હતા. જયારે દીનેશભાઇને તેમના સાળાઓ મારતા હતા ત્યારે આરોપીઓએ મૃતકનાં ભાણેજને કોલ કરી કહયુ કે તમે મારી બહેન રતનને અહી લઇ આવો. આપણે સમાધાન કરી લેવુ. આ સમયે ચાલુ ફોન પર દીનેશભાઇને માર મારવામા આવતો હોય તેનો અવાજ આવતો હતો. તેવુ ભાણેજ ભરતે પોલીસ સમક્ષ જણાવ્યુ હતુ . આ ઘટનામા વડીયા પોલીસે મૃતકનાં ભાણેજ વહુ મનીષાબહેન ભરતભાઇ રાઠોડની ફરીયાદ પરથી આરોપીઓ સામે હત્યાની કલમ હેઠળ કાર્યવાહી કરવા તજવીજ શરુ કરી છે.