ભાવનગરમાં હત્યા બાદ આરોપીના ઘર-વાહન સળગાવ્યા
મૃતકના પરિવારે ત્રણ મકાન-એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદિલી, હત્યાના સાત આરોપીની ધરપકડ
ભાવનગર શહેરના રૂૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો હત્યાના પલટાયા બાદ મૃતકના પરિવાર અને સંબંધીઓ દ્વારા સામેવાળા પક્ષના ત્રણ મકાન અને એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદીલી મચી ગઈ હતી . બનાવ ની જાણ થતાપોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
ઇન્ચાર્જ એસપી અને એએસપી અંસુલ જૈન, સીટી ડીવાયએસપી સિંઘાલ,એલસીબી સહીત ઘોઘા રોડ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસ દ્વારા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રૂૂવાપરી રોડ મહાકાળી વિસ્તાર એક્સલ કંપનીની પાછળના ભાગમાં રહેતા નરસિંહભાઈ પરસોત્તમભાઈ જાદવ ઉપર સાગરભાઇ નામના વ્યક્તિ તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નરસિંહભાઈ ઉપર માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે સર.ટી. હોસ્પિટલ ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું.
અને ત્યારબાદ મકાનો અને રીક્ષા સળગાવવાની ઘટના બની હતી. શહેરમાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તે રીતે આગજનીના બનાવો બન્યા હતા. ત્રણ મકાનો અને એક રિક્ષાને આગ લગાવાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન નરશીભાઇની હત્યામાં સંડોવાયેલા મનાતા સાગર ચૌહાણ, સુનીલ ચૌહાણ, ભદો ઉર્ફે ભદી, અજય ચૌહાણ, સાગરના પત્નિ રેસુબેન, ઉષાબેન, હસમુખ રાઠોડની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. આરોપી જુગાર નો અડ્ડો ચલાવતો હોવાનું પણ જાણવા મળેલ છે.