ભાવનગરના હીરાના કારખાનેદારની પાલિતાણાના ત્રણ વેપારીઓ સાથે પણ રૂ.43.29 લાખની ઠગાઈ
ભાવનગરમાં હીરાના વેપારીઓ સાથે રૂૂ. 62.78 લાખના હીરા મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર હીરા કારખાનેદાર સામે દિન-પ્રતિદિન કાયદાનો ગાળિયો વધુને વધુ મજબૂત બની રહ્યો છે. ઠગાઈની બે અલગ-અલગ પોલીસ ફરિયાદમાં પોલીસના હાથે ઝડપાયેલાં હીરા કારખાનેદારે પાલીતાણાના હીરાના ત્રણ વેપારીઓએ પાસેથી પણ રૂૂ.42.29 લાખની ઠગાઈ આચર્યાનું ખુલ્યું હતું.
ભાવનગર શહેર અને જિલ્લાના હીરા બજારમાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરમાં હીરાનું કારખાનું ધરાવતા અને હીરાની લે વેચનું કામ કરતા રમેશ ઉર્ફે આર.વી. પટેલ વલ્લભભાઈ વૈષ્ણવ ( રહે. મૂળ સુર્યાપરા, તા.જિ.જામનગર, હાલ રહે. ફ્લેટ નં.101 શિવશક્તિ રેસીડેન્સી, શાંતિનગર, પટેલ હોન્ડા શોરૂૂમની પાછળ, ચિત્રા,ભાવનગર ) એ સ્થાનિક હીરા બજારમાં હીરાનું કારખાનું ચલાવી તેમજ હીરાની લે વેચ કરી હીરા બજારમાં શાખ મેળવી હતી. રમેશ ઉર્ફે આર.વી. પટેલે ભાવનગરમાં હીરાના ત્રણ વેપારીઓ પાસેથી અલગ અલગ સમયે રૂૂ.62,78,333 ના હીરા વેચાણ માટે લીધા બાદ પોતાનું હીરાનું કારખાનું ઓફિસ અને ઘર બંધ કરી ફરાર થઈ જતા તેની વિરૂૂદ્ધ નિલમબાગ પોલીસ મથક અને બોરતળાવ પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ તળે અલગ અલગ બે પોલીસ ફરિયાદ થઈ હતી.
હીરા બજારમાં વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાને ગંભીરતાથી લઈને એલસીબી પોલીસે સઘન તપાસ હાથ ધરી ઠગબાજ કારખાનેદાર રમેશ ઉર્ફે આર.વી. પટેલ વલ્લભભાઈ વૈષ્ણવની ધરપકડ કરી રૂૂ.55.55 લાખના હીરા, કાર તેમજ મોબાઇલ મળી કુલ રૂૂ.58,85,757 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસની તપાસમાં આ શખ્સને અગાઉ હીરા અને સોડાના ધંધામાં ખોટ ગયેલ હોય લેણું થઈ જતા આ લેણું ચૂકવવા માટે હીરાના વેપારીઓ પાસેથી મોંઘા ભાવે હીરા ખરીદ કરી સસ્તા ભાવે વેચી દેવા પડતા હોવાથી વધુ લેણામાં આવી ગયો હતો, આથી તેણે આ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું ખુલ્લુ હતું.
છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ઝડપાયેલ ઠગબાજે ભાવનગર ઉપરાંત પાલીતાણાના હીરાના ત્રણ વેપારીઓ પાસેથી પણ રૂૂ.43,29,697 ના હીરા ખરીદ કર્યા બાદ તેનું પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પાલિતાણામાં રહેતા ગોપાલભાઈ ભીખાભાઈ પરમારે ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં એવા ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.5 ડિસેમ્બર 2024 થી તા.11 જાન્યુઆરી 2025 સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદી તેમજ તેમના ભાગીદાર વશરામભાઈ નરસીભાઇ ખડેલા અને અરવિંદભાઈ ખાટાભાઈ ચૌહાણ ( રહે.બંને પાલીતાણા)એ રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ ઉર્ફે આર.વી. પટેલને ભાવનગર ખાતે દલાલ રમેશભાઈ દુલાભાઈ વિરાણી હસ્તક રૂૂ.43.29 લાખના હીરા વેચવા માટે આપ્યા હતા અને ઉધારીનો સમય પૂરો થતા બાકી રકમની ઉઘરાણી કરતા રમેશ ઉર્ફે આર.વી. પટેલે જણાવ્યું હતું કે,થ હું જે જગ્યાએ હીરા વેચું છું તે દિલ્હીના વેપારીની દુકાનમાં કસ્ટમની રેડ પડી હોવાથી પેમેન્ટ મળવામાં મોડું થશે. ત્યારબાદ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. આ મામલે નીલમબાગ પોલીસે રમેશ ઉર્ફે આર.વી.પટેલ વલ્લભભાઈ વૈષ્ણવ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આમ આ શખ્સ વિરુદ્ધ બે પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
પાલીતાણાના ત્રણ વેપારીઓ પાસેથી હીરા ખરીદ્યા બાદ આરવી પટેલ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીમાં ગોપાલભાઈ ભીખાભાઈ પરમાર પાસેથી અલગ અલગ સમયે છ વખત ખરીદી કરી કુલ રૂૂ. 35,47,259 તેમજ ગોપાલભાઈ પરમારના ભાગીદાર વશરામભાઈ નરસિંહભાઈ ખડેલા પાસેથી અલગ અલગ સમયે બે વખત રૂૂ.5,03,068 ની કિંમતના હીરાની ખરીદી કરી હોવાનું તેમ જ અરવિંદભાઈ ખાટાભાઈ ચૌહાણ પાસેથી પણ રૂૂ.2,49,370 ના હીરા મળી કુલ રૂૂ.43,29,697 ની કિંમતના હીરાની ખરીદી કર્યા બાદ તેની રકમ નહિ ચૂકવી છેતરપિંડી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.