કોઠારિયા રીંગ રોડ પર સુરત જતી બસ પર પથ્થરમારો કરનાર ટોળકી સામે અંતે ગુનો નોંધાયો
અગાઉ 4 થી 5 બસમાં પથ્થરમારો થતા પોલીસ કમિશનરને રજૂઆતો કરવામાં આવી હતી
બસનો આગળનો કાચ ફૂટી ગયો હતો, ટ્રાવેલ્સના ડ્રાઇવરે ફરિયાદ નોંધાવી
રાજકોટ શહેરનાં ખાનગી બસો પર અજાણી ટોળકી દ્વારા પથ્થરમારો કરી મુસાફરો અને ટ્રાવેલ્સ સંચાલકમા ભયનો માહોલ ઉભો કરવામા આવ્યો હતો . આવી જ એક ઘટનામા પોલીસ ફરીયાદ નોંધવામા આવી છે જેમા કોઠારીયા રીંગ રોડ પર આવેલા આજીડેમ ચોકડીના પુલ પર મોડી રાત્રે બિલખાથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસને અજાણ્યા શખ્સે નિશાન બનાવી હતી, જેમાં બસનો મુખ્ય આગળનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઈવરને ડાબા હાથની કોણીમાં ઈજા પહોંચી હતી. ડ્રાઈવરે આ બનાવની ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગતો મુજબ આ બનાવ અંગે જુનાગઢના ડુંગરપુર ગામના રહેવાસી અને રામનાથ ટ્રાવેલ્સના ડ્રાઈવર રાહુલભાઈ ભીખાભાઈ ધાધલ (ઉ.વ.23) એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોલીસને જણાવ્યું છે કે તા.3/12ના રાતે અગીયારથી સાડા અગીયાર વાગ્યાની આસપાસ લક્ઝરી બસ નં. જીજે03બીવી-4524 લઈને બીલખાથી વાયા રાજકોટ થઇ સુરત જવા નીકળ્યો હતો. આ વખતે રાજકોટ કોઠારીયા રીંગ રોડ ગ્રીનલેન્ડ ચોકડી તરફ જઈ રહ્યા હતા અને આજીડેમ ચોકડીનો પુલ ચડી રહ્યો હતો તે સમયે અચાનક રોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે પથ્થરનો ધા કરતાં તે પથ્થર બસના આગળના મેઈન કાચની વચ્ચેના ભાગે ભટકાયો હતો.
પથ્થરની તીવ્રતા એટલી હતી કે કાચ તૂટીને અંદર આવ્યો અને સનવાઈઝર સાથે ભટકાઈને રાહુલભાઇને ડાબા હાથની કોણીમાં વાગ્યો હતો. જેના કારણે તેને મુંઢ ઈજા થઈ હતી. બસમાં તે સમયે આશરે 35 જેટલા મુસાફરો સવાર હતા. આથી રાહુલભાએ તાત્કાલિક બસ રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને આ બનાવ અંગે તાત્કાલિક બસ માલિક સંજયભાઈ જેબલીયાને જાણ કરી હતી. તેમજ 112 ઉપર ફોન કરીને પોલીસને પણ બોલાવી હતી. આ ઘટનામાં બસના આગળના કાચને તૂટવાથી આશરે રૂૂ. 12,500નું નુકસાન થયું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સુરત જવા માટે નીકળી જવાના કારણે રાહુલભાઈએ તે સમયે કોઈ સારવાર લીધી ન હતી.
રાહુલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ તેમની ટ્રાવેલ્સ બસના કાચ આવી જ રીતે આ કોઠારીયા રીંગ રોડ વિસ્તારમાં તુટયા હતાં. આથી આ વખતે ફરિયાદ દાખલ કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના થોડા દિવસો પૂર્વે પણ રાજકોટ-અમદાવાદ હાઇવે પર રામ વન નજીકના વિસ્તારમાં 4 થી 5 ખાનગી બસો પર પથ્થરમારો થયો હતો.જે મામલે પોલીસ કમિશ્નરને રજૂઆતો થઈ હતી.
