વિવાદ વકર્યો, રાજુબાપુની જીભ કાપી લાવે તેને 11 લાખનું ઇનામ
મહેસાણાના ભોપાજી ઠાકોરની પોસ્ટ વાઈરલ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા સીમર ગામે શિવ પુરાણ કથામાં કથાકાર રાજુબાપુએ કોળી-ઠાકોર સમાજ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ મામલે વિરોધ થતા રાજુબાપુએ પહેલા વીડિયો જાહેર કરીને અને બાદમાં અમરેલીમાં પોતાના નિવાસસ્થાન બહાર જાહેરમાં રડીને માફી માંગી હતી. જો કે આ મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. રાજુબાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે અને સાથે જ અનેક જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવ્યા છે.
મહેસાણામાં કોંગ્રેસના પીઢ ઠાકોર નેતા તેમજ મહેસાણા ઠાકોર સમાજના પ્રમુખ ભોપાજી ઉર્ફે અમૃતજી ઠાકોરની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ છે, જેમાં લખ્યું છે કે ઠાકોર-કોળી સમાજ માટે રાજુગીરી એ અયોગ્ય ટિપ્પણી કરી છે, રાજુગીરીની જીભ કાપી લાવે તેને 11 લાખનું ઇનામ આપવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર રાજુબાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને લઈને વિવાદ વકર્યો હતો.
આ મામલે કોળી સમાજની લાગણી દુભાતા રાજુબાપુનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત જાહેરમાં માફી માંગવાની માંગ સાથે મારેલીમાં રાજુબાપુના નિવાસ સ્થાને કોળી અને ઠાકોર સમાજના લોકો ભેગા થયા હતા. રાજુબાપુએ પોતાના નિવાસસ્થાન બહાર આવીને કોળી અને ઠાકોર સમાજના લોકોની રડીને અને હાથ જોડીને માફી માંગી અને પોતાની ભૂલ થઇ હોવાનું કહી માફ કરવા કહ્યું હતું.