જર્જરીત આવાસોના ડિમોલીશનનો પ્રારંભ
1404 આવાસો પૈકી અમુક આવાસો ખાલી કરાવવા માટે અગાઉ નોટિસ અપાઈ હતી, બાંધકામ વિભાગે કાર્યવાહી હાથ ધરી
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે 1404 આવાસમાં બ્લોક નાં 71 અને 72 બે બ્લોક ખાલી કરાવાયા હતા, જેને સંપૂર્ણપણે ખાલી કરાવાયા પછી તેના પર બપોર બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, અને બંને બિલ્ડીંગો ને જમીનદોસ્ત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ બે બ્લોકમાંથી માલસામાન ખાલી કરાવ્યા પછી પીજીવીસીએલ ની ટીમને બોલાવીને બંને બિલ્ડીંગના વિજ જોડાણ કટ કરાવી તેમાં લગાવેલા વીજ મિટર વગેરે ઉતરાવી લીધા હતા, તેમજ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇન ના કનેક્શન કટ કરી લેવાયા હતા.
ત્યાર પછી જેસીબી મશીન ની મદદ વડે બન્ને બિલ્ડીંગ ને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે, અને આસપાસના બિલ્ડીંગમાં કોઈ નુકસાની ન પહોંચે, તેમ જ અન્ય કોઈ રહેવાસીઓને નુકસાની ન થાય, તેની તકેદારી રાખીને ડીમોલેશન કાર્ય ચાલી રહ્યું છે.
સાથો સાથ ઉપરોક્ત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. આ ઉપરાંત અન્ય જર્જરીત બિલ્ડીંગોને પણ ધીમે ધીમે ખાલી કરાવાઈ રહ્યા છે, અને તે બિલ્ડિંગોને પણ તોડવા માટેની પ્રક્રિયા ક્રમશ: હાથ ધરવામાં આવશે.
આવાસો ખાલી કરાવવા માટે જેએમસીએ એક દિવસનો ટાઈમ આપ્યો હતો
આજે સવારે જેએમસીની એસ્ટેટ શાખા તેમજ અન્ય શાખા દ્વારા જગ્યા કરાવવા માટે તેમજ જર્જરિત મકાનોના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને બ્લોક નંબર 72 અને 3 નંબરના બે બિલ્ડિંગ, કે જેમાં 12-12 ફ્લેટ આવેલા છે, તે પૈકીના 24 ફલેટ આજે સૌ પ્રથમ ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમની સાથે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, અને કેટલાક સ્થાનિક નાગરિકો, કે જેઓ વિરોધ કરી રહ્યા હતા, તેઓને ભારે સમજાવટ પછી આજે સૌ પ્રથમ બે બ્લોક ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બે બ્લોક ખાલી કરાવાયા તેમાં હાલ 8 જેટલા રહેવાસીઓ વસવાટ કરતા હતા, તેઓના માલ સામાન ખાલી કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે પ્રક્રિયા દરમિયાન એક મહિલા બેશુદ્ધ બની હતી. તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવા માટેની કાર્યવાહી કરી હતી. હાલમાં સૌપ્રથમ બે અતિ જર્જરીત બ્લોક ખાલી કરાવાયા છે.