ઈશ્ર્વરિયા પાર્ક પાસે કલેક્ટર, ફોરેસ્ટ વિભાગનું મહાઅભિયાન : એક સાથે 8000 વૃક્ષનું વાવેતર
એક પેડ માં કે નામ ભાજપના આ સુત્રને સાર્થક કરવા માટે ઠેર ઠેર વૃક્ષોના વાવેતર ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઈશ્ર્વરીયા પાર્કને લીલી હરિયાળી બનાવવા માટે કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ વિભાગે એક સાથે 8000 વૃક્ષોનું વાવેતર કર્યું છે. આગામી સમયમાં ઈશ્ર્વરીયા પાર્ક ગેઈટ નં.2 પાસે નાનુ એવું જંગલ ઉભુ થઈ જશે.
રાજકોટના કલેકટર પ્રભવ જોષી દ્વારા હરિયાળી ક્રાંતિના ભાગરૂપે રાજકોટ શહેરને લીલી નાઘેર બનાવવા માટે કમર કસી છે. જેમાં ફોરેસ્ટ વિભાગે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. કલેકટર દ્વારા ઈશ્ર્વરીયા પાર્ક નજીક આવેલ સરકારી જમીનના ખુલ્લા પ્લોટમાં વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરવાનું અભિયાન હાથ ધર્યુ છે. જેમાં આજે ફોરેસ્ટ વિભાગની મદદથી એક સાથે 8000 વૃક્ષોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે.
ઈશ્ર્વરીયા પાર્ક ગેઈટ નં.2 પાસે સરકારી જમીનમાં બે 2500 વડ, 500 ફાલસા, 750 કણજી, 250 લીમડા, 250 કુમરા, 250 પીપળા, 500 કરંજ, 250 અર્જુન, 250 કાસીદ, 250 બદામ, 250 ગુલમહોર, 250 પારસ પીપળો, 250 સીસુ, 250 ગરમાડો, 250 કચનાર, 250 બોરસલી, 250 કૈલાસપતિ, 250 સપ્તપદિ અને 250, 250 લીંબુના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે.
ઈશ્ર્વરીયા પાર્કને લીલી નાઘેર બનાવવા માટે 8000 વૃક્ષની વાવેતર કર્યા બાદ તેની જાળવણી કરવા માટે અને પાણી પાવા સહિતની કામગીરી માટે અલગ ગાર્ડન કમિટીને તેની જવાબદારી સોંપી દીધી છે ત્યારે બે ચાર વર્ષમાં ઈશ્ર્વરીયા પાર્ક પાસે નાનું એવું જંગલ ઉભુ થઈ જશે.