વિવાદી ટિપ્પણીમાં રૂપાલાને ક્લીનચિટ
- આચારસંહિતાનો ભંગ થતો નહીં હોવાનો ચૂંટણી પંચનો રિપોર્ટ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને ક્ષત્રિય સમાજ અંગે વિવાદી ટિપ્પણી કરવાના કેસમાં ચુંટણી પંચે રાહત આપી છે અને આચાર સંહિતા ભંગના કેસમાં ચૂંટણી પંચે ક્લિનચીટ આપી દીધી છે. રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રૂખી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે વિવાદીત ટિપ્પણી કરતાં આ મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ગુજરાતભરમાં આંદોલનો ચાલી રહ્યાં છે.
આ વિવાદિત નિવેદન બાબતે ભાજપના ઉમેદવાર રૂપાલા સામે ચૂંટણીપંચમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારીને તપાસ સોંપી હતી અને વિવાદીત વિડિયોની તપાસ કરી રિપોર્ટ આપવા સુચના આપી હતી. જેના પગલે બે દિવસ પહેલા પ્રાંત અધિકારીએ રિપોર્ટ આપી દેતાં જિલ્લા કલેકટરે સંપૂર્ણ અહેવાલ રાજ્ય ચૂંટણી પંચને મોકલી આપ્યો હતો. દરમિયાન ગઈકાલે રાજ્ય ચૂંટણી પંચે મોડી સાંજે રૂપાલાએ માફી માંગી લીધી હોવાથી આચાર સંહિતાનો ભંગ થતો નહીં હોવાનું જણાવી ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને ક્લિનચીટ આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અહેવાલ અંગે રાજકોટ જિલ્લા કલેકટરને પણ જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદીત ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ઉગ્ર આંદોલન છેડી દીધું છે અને રૂપાલાની ટિકીટ રદ કરવા ભાજપ ઉપર જબરૂ દબાણ ઉભું કર્યું છે તેવા સમયે જ આ કેસમાં ચૂંટણી પંચે રૂપાલાને રાહત આપતાં ભાજપને પણ થોડે ઘણે અંશે હાશકારો થયો છે.