ગુજરાત યુનિવર્સિટીનો છબરડો, BSC SEM-6માં આગલા દિવસનું પેપર આપી દીધું
ગુજરાત યુનિવર્સિટી દ્વારા અવાર-નવાર છબરડા સર્જાતા હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે. ત્યારે ફરીએકવાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો છબરડો સર્જાયો હતો. જેને કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા.
ગુજરાત યુનિવર્સિટીની ઇ.તભ સેમેસ્ટર 6ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવાયું હતું. વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલાઇ ગયું હતું. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાનું હતું, તેના બદલે 309 નંબરનું પેપર આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીને ભૂલ સમજાતા યુનિવર્સિટી તંત્ર દોડતું થઇ ગયું હતું અને ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપી દેવાયું હતું. આ બધામાં જે સમય બગડ્યો તેને કારણે વિદ્યાર્થીઓને પેપરના સમયમાં દોઢ કલાકનો વધારો આપવામાં આવ્યો હતો.
જે પરીક્ષા સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી તે પરીક્ષા ગુજરાત યુનિવર્સિટીના આ છબરડાને કારણે 12.30 વાગ્યે શરૂ થઇ હતી.અને પોતાની ભૂલ ઢાંકવા માટે વિદ્યાર્થીઓને તાત્કાલીક ધોરણે હાથથી લખાયેલા પેપર આપવામાં આવ્યા હતા. આમ દોઢ કલાક પરીક્ષા મોડી શરૂ થવાને કારણે વિદ્યાર્થીઓને દોઢ કલાકનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો.
આ ગંભીર છબરડાને લઇને એન.એસ.યૂ.આઇ દ્વારા માંગ કરવામાં આવી છે કે વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામક ત્રણેયને આ ગંભીર ક્ષતિ માટે જવાબદાર ઠેરવવામાં આવે અને તેમને તેમના પદ પરથી દુર કરવામાં આવે. જોકે ગુજરાત યુનિવર્સિટી દ્વારા થયેલો આ પ્રથમ છબરડો નથી. યુનિવર્સિટી દ્વારા આવા અનેક નાના-મોટા છબરડા અગાઉ સામે આવી ચૂક્યા છે.