ચેન્નાઇ-રાજસ્થાન વચ્ચેની મેચ ફિક્સ? મનોજ તિવારી-વિરેન્દ્ર સેહવાગના ગંભીર સવાલ
વિકેટ બાકી હોવા છતાંય ધીમી ગતિની બેટિંગ શંકાના દાયરામાં
આઇપીએલ 2024 ની 61મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈએ 5 વિકેટે જીત મેળવી હતી. પરંતુ આ મેચ બાદ ફિક્સિંગને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર સતત એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે આ મેચ ફિક્સ છે. હવે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને મનોજ તિવારીએ આ મેચને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જે કંઈક બીજો જ સંકેત આપી રહ્યા છે. સેહવાગ અને મનોજ તિવારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને રાજસ્થાન રોયલ્સની બેટિંગ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ચેન્નાઈ સામે રાજસ્થાનની ધીમી રમત લોકોના મનમાં ઘણા સવાલો ઉભા કરી રહી છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 141 રન બનાવ્યા હતા.
ટીમ માટે રિયાન પરાગે 35 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 47* રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય અન્ય તમામ બેટ્સમેન ધીમી અને ટૂંકી ઇનિંગ્સ રમીને આઉટ થયા હતા. બાકીના બેટ્સમેનોની ધીમી ઈનિંગ્સ હવે શંકાના દાયરામાં આવી રહી છે. જયસ્વાલે 21 બોલમાં 24 રન, જોસ બટલરે 25 બોલમાં 21 રન અને સંજુ સેમસને 19 બોલમાં 15 રન બનાવ્યા હતા. સેહવાગ અને મનોજ તિવારી ક્રિકબઝ પર રાજસ્થાનની ધીમી ઇનિંગ્સ વિશે વાત કરી છે. પહેલા મનોજ તિવારીએ કહ્યું, ટૂર્નામેન્ટના પહેલા હાફ સુધી, તેની બેટિંગ ફરારીની જેમ ચાલી રહી હતી. મને ખબર નથી કે અચાનક શું થઈ ગયું? કદાચ ખૂબ ગરમી હતી. ઈરાદો દેખાવો હોવો જોઈએ. ઓછા રન બનાવ્યા, તે સમજી શકાય તેવું છે. પરંતુ તમે પ્રયાસ તો કરો, જ્યારે તમારા હાથમાં 7 વિકેટ હોય, 19મી ઓવરમાં ત્રણ વિકેટ પડી હતી.