વ્યાજખોરો સામે ફરિયાદોનો ધોધ : ગુના નોંધવાનું શરૂ
નિર્ભય પણે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ
રાજકોટમાં છેલ્લા ઘણા વખતથી વધી રહેલા વ્યાજખોરોના દુષણને ડામવા માટે પોલીસ અથાગ પ્રયાસો કરતી હોવા છતાં આ દુષણને ડામવામાં પોલીસ અનેક વખત પ્રયાસો કરે છે. છતાં ધાર્યા પરિણામો મળતા નથી ત્યારે રાજકોટમાં ગઈકાલે વધુ એક વખત વ્યાજખોરો સામે પોલીસનો લોકદરબાર યોજાયો હતો. જેમાં બે કલાકમાં 26થી વધુ અરજીઓ મળી હતી. આ તમામ અરજદારોને એક જ સ્થળે સાંભળવામાં આવ્યા બાદ હવે આ અંગે જે તે પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ પુરાવા મેળવ્યા બાદ ગુનો નોંધવાની શરૂઆત કરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કોઈપણ ભોગે વ્યાજખોરોને ઘુટણિયે પાડી દેવા પોલીસને સુચના આપી છે અને બે થી વધુ વખત જે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હશે તેવા વ્યાજખોરો સામે પાસાનું શસ્ત્ર ઉગામી પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગૃહ વિભાગની સૂચનાથી વ્યાજખોરો વિરુદ્ધ લોકદરબાર યોજ્યો હતો. જેમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સાથે તમામ એસીપી અને રાજકોટ શહેરના તમામ પોલીસ મથકના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતાં. હેમુગઢવી ખાતે યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરો વિરુદ્ધ અરજીઓનો ધોધ વહ્યો હતો. અને અરજીના આધારે સંબંધીત પોલીસ મથકને યોગ્ય તપાસ કરી ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ જણાવ્યું હતું કે, હજુપણ ઘણા બોગ બનનાર લોકો વ્યાજખોરોના ડરથી પોલીસ ફરિયાદ કરવા માટે આવતા નથી ત્યારે આવા લોકોને નિર્ભય પૂર્વક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. ભોગ બનનારને પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તેવા ડરથી પોલીસ પાસે જતા નથી. પરંતુ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા પોલીસ મક્કમ છે અને આગામી દિવસોમાં વ્યાજખોરો સામે રાજકોટ પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું તેમજ બેથી વધુ વ્યાજખોરીની ફરિયાદ થઈ હશે તેવા વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે..