For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાળઝાળ ગરમી વચ્ચે હૃદય બંધ પડવાની ઘટના યથાવત્: રાજકોટમાં કેદી સહિત ત્રણનાં મોત

12:18 PM Jun 10, 2024 IST | Bhumika
કાળઝાળ ગરમી વચ્ચે હૃદય બંધ પડવાની ઘટના યથાવત્  રાજકોટમાં કેદી સહિત ત્રણનાં મોત
Advertisement

રાજકોટ મઘ્યસ્થ જેલમાં કેદી, બારવણ ગામે યુવાન અને પરિણીતા હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડયા

રાજ્યભરમાં કાળજા ગરમી પડી રહી છે ત્યારે હૃદય રોગના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ ત્રણ વ્યક્તિના હાર્ટ બેસી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સેન્ટ્રલ જેલમાં કેદી, બારવણ ગામે યુવાન અને પરિણીતા હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ વિંછીયા તાલુકાના સનાળી ગામના વતની અને હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં ગાંજાના ગુનામાં સજા કાપતા જયંતીભાઈ રાયસંગભાઈ વનાણીયા નામનો 43 વર્ષનો કાચા કામનો કેદી પોતાની બેરેકમાં હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો કેદીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેન્તીભાઈ વનાણીયા ત્રણ ભાઈમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે જેન્તીભાઈ વનાણીયા વર્ષ 2022 માં ગાંજાના જથ્થા સાથે ઝડપાતા રાજકોટ સેન્ટ્રલ જેલ હવાલે કરાયા હતા.

બીજા બનાવમાં રાજકોટ તાબાના બારવણ ગામે રહેતા ગાંડુભાઈ શામજીભાઈ સાકરીયા (ઉ.વ.40) પોતાના ઘરે સુતા હતા. ત્યારે મધરાત્રીના બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછતાછમાં મૃતક યુવાન પાંચ ભાઈ બે બહેનમાં નાનો હતો. અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં રાજકોટમાં સદર બજાર વિસ્તારમાં આવેલા ભીલવાસમાં રહેતી નફીશાબેન ઇનાયતભાઈ મકવાણા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડી હતી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement