સિવિલમાં તબીબ પર હુમલાની ઘટનામાં હડતાળનું એલાન
તબીબો સાથે રૂકસાનાબેન અને સંબંઘી માથાકૂટ કરતા હતા ત્યારે સિકયોરિટી તમાશો જોતા હતા
આઉટસોર્સના કર્મચારીને છુટા કરતા તમામ સ્ટાફ પણ તબીબને સસ્પેન્ડ કરવાની માગ સાથે હડતાળ ઉપર
સૌરાષ્ટ્ર કચ્છની એકમાત્ર સૌથી મોટી હોસ્પિટલ એટલે કે રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ કે જ્યાં રોજ બરોજના હજારો દર્દીઓ ઓપીડી સારવાર લેવા માટે આવે છે.હોસ્પિટલમાં અનેકવાર દર્દીના સબંધીઓ દ્વારા અનેક વાર તબીબ પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવે છે.ત્યારે શનિવારે સિવીલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફ અને મહિલા તબીબ વચ્ચે થયેલી માથાકુટનો મામલો ગરમાયો છે.જેમાં ગઈકાલે રવિવારના રોજ મોટી સંખ્યામાં મેડીકલ કોલેજે એકઠા થઈને સુત્રોચાર કર્યા હતા. તેમજ તબીબો દ્વારા મેડીકલ કોલેજ ડીન અને સિવીલ સર્જન સમક્ષ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી.
આ અંગે સિવીલ રેસીડેન્ટ ડોક્ટરના પ્રેસિડેન્ટ ડો.દિવ્યેશ શાહે કહ્યુ હતું કે, મહિલા તબીબ સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યુ અને તેમના પર હુમલો થયો તેવો બનાવ ભવિષ્યમાં ન બને તે માટે ડીન અને તબીબી અધીક્ષકને અમે લેખિતમાં રજૂઆત કરી છે.તેમજ સ્ટાફ અને તેમના સબંધી દ્વારા જે રીતે દૂરવ્યવહાર કરવામાં આવ્યો જેથી તેમની સામે કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ અથવા ટર્મિનેટ કરવામાં આવે.થોડા દિવસોમાં જો કોઈ કાર્યવાહી નહી થાય તો ડોક્ટર એસો.દ્વારા ઉગ રજુઆત કરવામાં આવશે.તેમજ આ અંગે ડો.મેરીએ જણાવ્યું હતું કે, આ દર્દીને તમામ જરૂૂરી સારવાર આપવામાં આવી હતી.છતાં પણ તેના સબંધીઓ અને સ્ટાફના એક મહિલા કર્મચારી દ્વારા મારો વિડીયો બનાવતા હતા.જેને રોકવા જતા મારા ઉપર હુમલો કર્યો હતો.તેમજ પાછળથી મને ધક્કો પણ માર્યો હતો. આવા બનાવો અવારનવાર બનતા હોવાથી તાત્કાલિક આ મુદ્દે યોગ્ય પગલાં લેવા અને ડોક્ટર્સની સિક્યુરિટી વધારવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી.
તબીબોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,સિવીલના કર્મચારી અને તબીબો વચ્ચે જ્યારે ઝપાઝપી થઈ ત્યારે ત્યાં ઉભેલા સિક્યુરીટી ઓફિસર તમાશો જોતા હતા.આ અંગે તબીબોએ રજુઆત કરી હતી કે જ્યારે સ્ટાફના રૂૂકસાનાબેન રાઠોડ અને તેમના સબંધી મહિલા તબીબો સાથે માથાકુટ કરતા હતા ત્યારે સિક્યુરીટી ગાર્ડ ત્યા શોભાના ગાઠિયા સમાન ઉભા-ઉભા તમાશો જોઇ રહ્યા હતા.ત્યારે તબીબોની સુરક્ષા માટે વધુ સિક્યોરિટી મુકવા માટે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે. તબીબોએ કરેલી આ ચાર પૈકીની પહેલી ત્રણ માંગો જો તાત્કાલિક ધોરણે આજે 4 સંતોષવામાં ના આવે તો બધા વિભાગના જુનિયર અને સિનિયર રેસીડન્ટ ડોક્ટર દ્વારા નોન-ઈમરજન્સી સેવાઓનો ત્યાગ કરવામાં આવશે.જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તા.11ના મંગળવારથી ઇમરજન્સી સેવા પરથી તમામ તબીબો હડતાલ પર ઉતરી જવા તબીબોએ જણાવ્યું હતું.
આજે સાંજ સુધીમાં તબીબોની માગણી સ્વીકારવા પ્રયાસ કરવામાં આવશે: સિવિલ સર્જન ડો.ત્રિવેદી
તબીબ પરની હુમલાની ઘટનામાં આજે સિવિલ સર્જન ડો.રાધેશ્યામ ત્રિવેદી સાથે મિટિંગ કરવામાં આવી હતી જેમાં તબીબોએ તેઓની માંગણીને લઈ રજુઆત કરી હતી.ત્યારે ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે,આજે સાંજ સુધીમાં તમામ તબીબોને ફરી મળી તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા પ્રયાસ કરવામાં આવશે.તેમજ કોઈ દર્દીને તકલીફ નહીં પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.આ મિટિંગ સમયે ડો.ત્રિવેદીની ચેમ્બરની બહાર ટાઈટ સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી હતી.
આ ચાર માગણી તાત્કાલિક ધોરણે સ્વીકારવામાં આવે: તબીબો
જવાબદાર કર્મચારી રુકશાનાબેનને કાયમી ધોરણે પોતાની ફરજમાંથી તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવે. તાત્કાલિક ધોરણે દરેક માળ પર એક અને બિલ્ડીંગની નીચે દ્વાર પર બે બાઉન્સર 24 કલાક ફાળવવામાં આવે. દાખલ દર્દીની સાથે 24 કલાક રહેવા માટે તથા દર્દીને મુલાકાત માટે આવતા સગા માટે ફાળવવામાં આવતી પાસની પ્રક્રિયાનું ચુસ્તપણે પાલન કરવું. દરેક ઓપીડી તથા વોર્ડમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવે.