ટ્રાવેલ્સ સંચાલકોની દાદાગીરી: એસ.ટી. ડિવિઝનના સુરક્ષા મદદનીશ પર હિચકારો હુમલો
એસટી અને આરટીઓના ચેકિંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની પોલીસ ફરિયાદ
જામનગર નજીક નાઘેડી પાસે આરટીઓ અને એસટી વિભાગ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું હતું, દરમિયાન ખાનગી લક્ઝરી બસ ના સંચાલક અને તેના બે સાગ્રીતો એ દાદાગીરી કરી એસટી અધિકારી પર હુમલો કરી દેતાં ફરજમા રુકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત અધિકારીને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.
જામનગરના એસ.ટી. વિભાગ તેમજ આરટીઓ ની ટીમ દ્વારા જામનગર જિલ્લાના જુદા જુદા માર્ગો પર ચેકિંગ કરવામાં આવે છે, અને ગેરફાયદે મુસાફરોની હેરાફેરી કરનારા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત ગઈકાલે એસટીના વિભાગીય કચેરીના સુરક્ષા મદદનીશ અધિકારી કિશોરભાઈ હરસુખભાઈ રાદડિયા તેમજ આરટીઓના અધિકારી વગેરે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ચેકિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીર સિંહ ઉર્ફે વાંઢા પોતાના અન્ય બે સાગરીત સાથે નાઘેડી ના પાટીયા પાસે ધસી આવ્યા હતા, અને એસટી અને આરટીઓના અધિકારીઓ સાથે તકરાર કરી હતી.
જેઓની ફરજમાં રૂૂકાવટ ઊભી કરીને એસટી અધિકારી કિશોરભાઈ રાદડિયા પર હુમલો કરી દીધો હતો. જેમાં તેઓને ડાબી આંખના નેણના ભાગે ઈજા થઈ હોવાથી તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓને પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ હુમલા અને ફરજ માં રૂૂકાવટ અંગેના બનાવ બાબતે કિશોરભાઈ રાદડિયાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીર સિંહ વાંઢા તથા અન્ય બે સાગરીતો સામે આઇપીસી કલમ 186,332,505 અને 114 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને ભાગી છુટેલા આરોપીઓને પકડવા માટેની કવાયત શરૂૂ કરી છે.