ફાયર વિભાગના બન્ને અધિકારીઓએ કોના કહેવાથી ગેમ ઝોનની ફાઈલ દબાવી?
આઈ.વી.ખેર અને ઠેબાની કોલ ડિટેઈલમાં સીટને મહત્ત્વના પુરાવા મળ્યા
ગેમ ઝોનના જમીન માલિકો અશોકસિંહ અને કિરિટસિંહે જામીન અરજી કરી
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચે મહાનિશગરપાલિકા ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર અને સસ્પેન્ડેટ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પ્રાથમિક પુછપરછમાં આ બન્ને અધિકારીઓએ કોના કહેવાથી ફાયર વિભાગમાં ટીઆરપી ગેમઝોનની અરજી દબાવી રાખી તે મુદ્દો તપાસનો વિષય બન્યો છે. જો કે, આ મામલે પોલીસે કોલડિટેલ કાઢતા કેટલાક મહત્વના પુરાવાઓ મળ્યા છે. જેમાં આ બન્ને અધિકારીઓની બેદરકારીહોવાનું પુરવાર થયું છે. આ કેસમાં વેલ્ડીંગ સુપરવાઈઝર મહેશ રાઠોડના રિમાન્ડ નહીં મંગાતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 12 આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ ત્રણની ધરપકડ કરતા આંકડો 15 પર પહોંચ્યો છે. આરોપી નં. 13 તરીકે ગીતા નગર શેરી નં. 7 ઠેબા મંજીલ ગોંડલ રોડ જકાતનાકા પાસે રહેતા ભીખાભાઈ જીવાભાઈ ઠેબા અને આરોપી તરીકે 14 તરીકે રાજવાટીકા સોસાયટી પુષ્કરધામ રોડ ખાતે રહેતા ચીફ ફાયર ઓફિસર ઈલેશકુમાર વાલાભાઈ ખેર અને આરોપી નં. 15 તરીકે ગોંડલ રહેતા ફેબ્રીકેશનનું કામ કરનાર મહેશ અમૃતભાઈ રાઠોડની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા ત્રણેયમાંથી મહેશ રાઠોડને જેલ હવાલે કરાયો હતો. જ્યારે ચીફ ફાયર ઓફિસર ખેર અને સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાની બે દિવસના રિમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરવામા આવી ચે. ફાયર ઓફિસર ખેરના વકિલે રિમાન્ડ વખતે સ્ટેની અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી. આ બન્ને અધિકારીઓ પોતાની ફરજમાં બેદરકાર રહ્યા હોય અને પોતાના હોદાનો દૂરઉપયોગ કરી કાયદાની સંપૂર્ણ પ્રક્રિયાથી વાકેફ હોવા છતાં ગત તા. 4-9-23 ના રોજ આગની ઘટના બન્યા છતાં ટીઆરપીગેમઝોનમાં લાયસન્સ બાબતેની કોઈ કાર્યવાહી કરી નહીં અને આ અંગેની ફાઈલ પણ દબાવી રાખવામાં આવી હોય ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા કોના કહેવાથી આ ફાઈલ દબાવી રાખવામાં આવી તે મુદ્દો તપાસનો વિષય છે. અને ક્રાઈમ બ્રાંચે કોલ ડિટેઈલ ઉપર તપાસ કેન્દ્રીત કરી આ મામલે બન્ને અધિકારીઓ સાથે ઘટના બાદ સંપર્ક ધરાવનારની યાદી પણ તૈયાર કરી છે. બીજી તરફ આ મામલે ટીઆરપી ગેમઝોનના માલીક અશોકસિંહ જાડેજા અને કિરિટસિંહ જાડેજાએ રેગ્યુલર જામીન માટે અરજી કરતા આ મામલે આવતીકાલે ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે ગત તા. 20ના રોજ અશોકસિંહ અને કિરિટસિંહના વકીલ દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી હતી.