રાજુલામાં બૂટલેગરો બેફામ : ‘દારૂની બાતમી કેમ આપે છે’ કહી દાતરડા-પાઈપના ઘા ઝીંકી યુવાનની હત્યા
નાના ભાઈને આંતરી હુમલો કર્યા બાદ મોટો ભાઈ હોસ્પિટલે જતા રસ્તામાં આંતરી તૂટી પડયા : રાજકોટ સારવારમાં દમ તોડયો
રાજુલામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ દારૂની બાતમી આપ્યાનો ખાર રાખી યુવાનને દાતરડા અને પાઈપના ઘા ઝીંકી હત્યા નિપજાવતાં ચકચાર મચી જવા પામેલ છે. આરોપીઓએ પહેલા મૃતકના નાના ભાઈને આંતરી હુમલો કર્યો હતો. જેથી મોટો ભાઈ તેની ખબર કાઢવા માટે હોસ્પિટલે જતો હતો ત્યારે બુટલેગરો તેની ઉપર પણ તુટી પડયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજુલામાં નવા રેલવે સ્ટેશન પાસે મફતીયાપરામાં રહેતા હરસુર ભરતભાઈ ઘાખડા (ઉ.28) નામનો યુવાન ગત તા.24/6ના રાત્રિનાં રાજુલામાં કળીયારી રોડ પર હતો ત્યારે જુબેર સુલેમાન લતીફ, જુબેરનો માણસ જેરી અને એક અજાણ્યા શખ્સે તેને રોકી ‘તું કેમ પોલીસને દારૂની બાતમી આપે છે ?’ તેમ કહી દાતરડા અને લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ તેની ઉપર હુમલો કરતાં પહેલા તેના નાના ભાઈ ઉપર પણ હુમલો કર્યો હતો. જેથી તેને હોસ્પિટલે ખસેડાયો હોય હરસુર નાના ભાઈની ખબર કાઢવા માટે હોસ્પિટલે જતો હતો ત્યારે બુટલેગરોએ તેના ઉપર હુમલો કરી તુટી પડયા હતાં.
જેથી હુમલામાં ઘવાયેલા હરસુરને સારવાર માટે પ્રથમ રાજુલા બાદ અમરેલી અને ત્યાંથી વધુ સારવાર માટે બન્ને ભાઈઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન હરસુરનું મોત નિપજ્યું હતું.
આ અંગે મૃતકના માતા પ્રસન્નબેન ભરતભાઈ ધાખડા (ઉ.50)ની ફરિયાદ પરથી રાજુલા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ હુમલો અને રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન હરસુરનું મોત નિપજતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ મૃતક હરસુર ઉપર દાતરડા અને પાઈપ વડે હુમલો કરી તેના બન્ને હાથ અને પગ ભાંગી નાખ્યા હતાં તેમજ માથુ પણ ફોડી નાખી ગંભીર ઈજા કરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે રાજુલા પીએસઆઈ એમ.એ.ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.