અગાઉ જાણ કર્યા વગર પાણી કાપ ઝીંકી દેતા ત્રણ વોર્ડમાં બોકાસો
મહાનગરપાલિકા દ્વારા શહેરની 5.30 લાખ મિલ્કતોમાં દરરોજ 20 મીનીટ પીવાનું પાણી વિતરણ કરવામાંઆવી રહ્યું છે. કોર્પોરેશન રિપેરીંગ કામ અથવા અન્ય કારણોસર પાણી વિતરણ બંધ કરવાનું હોય ત્યારે 48 કલાક પહેલા લોકોને તેની જાણકારી આપવી તેવો નિયમ અમલમાં છે છતાં ગઈકાલે લીકેજ રિપેરીંગના બહાને રાતો રાત પાણીકાપની જાહેરાત કરી દેતા સવારે ન્યુઝ પેપરમાં વાંચે તે પહેલા જ નળમાં પાણી ન આવતા એક સાથે ત્રણ વોર્ડમાં બોકાસો બોલી ગયો છે અને આ મુદ્દે ફરિયાદોનો ઢગલો થયાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના વોટરવર્કસ વિબાગ દ્વારા કોઈપણ કારણોસર પાણીકાપ નાખવાનો થાય ત્યારે 48 કલાક પહેલા જાહેરાત કરવામા આવે છે જેના લીધે લોકો અગાઉથી પાણીનો સ્ટોક કરી શકે અને આ પ્રથા વર્ષોથી ચાલતી આવે છે છતાં મહાનગરપાલિકાએ ગઈકાલે અચાનક સાંજે જાહેરાત કરી ત્રણ વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે. તેમ જણાવી દીધેલ આ સમાચાર સવારે ન્યુઝ પેપરમાં કે અન્ય એકમો મારફત લોકો જાણી શકે તે પહેલા જ નળમાં પાણી ન આવતા દેકારો બોલી ગયો હતો. જેની પાછળ મહાનગર પાલિકાએ જીડબલ્ય એલ દ્વારા એનસી-20 લાઈન પર લીકેજ હોવાના કારણે પાઈપ લાઈનનું રિપેરીંગ જોબવર્ક કરવાનું હોવાથી નર્મદા યોજના આધારીત ન્યારા ઓફ ટેક પર રવિવારના રોજ બપોરે એક કલાકથી પાણીનો જથ્થો ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોય આ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી. જેના કારણે આજે રૈયાધાર આધારિત બજરંગવાડી, રેલનગર તથા ઘંટેશ્ર્વર વિસ્તારના વોર્ડ નં. 1, 2 અને 3 પાર્ટમાં પાણી વિતરણ ન થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. કાળઝાળ ઉનાળામાં પાણીની જરૂરિયાત વધુ હોય છે ત્યારે જ મનપાએ અચાનક પાણીકાપ ઝીંકી દેતા તંત્રએ જ ઘડેલા નિયમનો તંત્રએ જ ઉલાળિયો કરી લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે તેવી ફરિયાદો ઉઠવા પામી હતી.