નર્મદામાં ડૂબેલા 7માંથી એકનો મૃતદેહ મળ્યો, 6ની શોધખોળ
એક હજાર ફૂટ ઊંડાઇએ કેમેરાની મદદથી શોધખોળ, છ તરવૈયા અને NDRFની ટીમ પણ કામે લાગી
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા પડેલા મૂળ અમરેલીના વતની અને હાલ સુરતના રહેતા પરિવાર સાથે કાલે ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના 9 સભ્યો નર્મદા નદીમાં ડૂબ્યા હતા. જેમાં બે સભ્યોનો આબાદ બચાવ થયો હતો. જયારે અન્ય સાત લોકોની શોધખોળ શરુ કરવામાં આવી છે. આજે સવારે પોઈચા નર્મદા નદીમાંથી 6 કિલોમીટર દૂર પુલ પાસેથી ડૂબેલા ભાવેશ વલ્લભ ભાઈ હડીયા (ઉ.વ. 15)નો મૃતદેહ મળ્યો છે. પરંતુ બીજા 6 લોકોની કોઇ ભાળ મળી નથી.
નર્મદા નદીમાં ડૂબેલા બાળકો સહિતના 6 લોકોને શોધવા માટે એનડીઆરએફની ટીમ સાથે વડોદરા ફાયરની ટીમ, રાજપીપળા ફાયર બ્રિગેડ, ભરૂૂચ જિલ્લા ફાયર ફાઈટરની ટીમ છ ફાયર ફાઈટર સાથે કામે લાગી છે. તેમની સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ગુમ થેયલાની શોધખોળ કરવામાં મદદ કરી રહ્યા છે. ઘટના સ્થળે પોલીસ અને કલેકટર વિભાગના અધિકારીઓ હાજર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નદીમાં એક હજાર ફૂટ ઊંડાઈએ કામ કરી શકે તેવી વિઝીબિલિટીની ક્ષમતાવાળો કેમરાને નદીમાં ઉતારીને તેમજ માછલી પકડવાની જાળ નદીમાં નાખી લાપતા થયેલાઓની શોધખોળ કરવમાં આવી રહી છે.
નોંધનીય છે કે, સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા મૂળ અમરેલીના એક જ પરિવારના 17 લોકો પોઈચા નર્મદા નદી કિનારે નહાવા આવ્યા હતા. મંગળવારે બપોરે 12 કલાકે ભરતભાઈ બલદાણીયા સહિત બીજા 8 વ્યક્તિ નર્મદામાં ન્હાવા ગયા હતા. પરિવારના સભ્યો ન્હાવાની મજા માણતા હતા ત્યારે ઉંડાણવાળી જગ્યાએ અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બુમાબુમ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ મગનભાઈ નાનાભાઈ જીંજાળા અને કુસ્કી મગનભાઈ જીંજાળાને બચાવી લીધા હતા. જયારે ડૂબેલા ભરત મેવાભાઈ બલદાણીયા. (ઉ.વ. 45), આર્નવ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ. 12), મૈત્રવ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ .15), વ્રજ હિંમતભાઈ બલદાણીયા (ઉ.વ.11), આર્યન રાજુભાઈ જીનીવા (ઉ.વ.7), ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉ.વ. 15), ની શોધખોળ શરુ કરવા આવી હોય જેમાં ભાવેશ વલ્લભ ભાઈ હડીયા (ઉ.વ. 15)નો મૃતદેહ કિલોમીટર દૂર પુલ પાસેથી મળ્યો હતો.હજુ 6 લાપતાની શોધખોળ ચાલુ છે.