જમાઇ બન્યો જમ: ભાવનગરમાં સસરાની છરીના ઘા ઝીંકી હત્યા
તળાજા તાલુકાના બોરડી ગામનું દંપતી બાઈક ઉપર સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે સીંમત પ્રસંગે જઈ બપોરના અરસા દરમિયાનપરત ફરી રહ્યું હતું. તે વેળાએ આસરાણા ગામથી આગળ પહોંચતા રાજુલા તાલુકાના કુંભારીયા ગામે રહેતા જમાઈએ જમ બનીને આવી પત્નીને તેડી ગયાની અદાવતે સસરા ઉપર હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છુટયો હતો. ઉક્ત બનાવના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
મળતી વિગત મુજબ,તળાજા તાલુકાના બોરડી ગામે રહેતા વાલ્મિકી સમાજના છનાભાઈ ચિથર દાઠિયા અને તેમના પત્ની સુરેખાબેન છનાભાઈ અન્ય પરિવારના સભ્યો સાથે છનાભાઈના ભાઈની દીકરીની દીકરી સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે પરણાવેલ હોય જ્યા તેણીના શ્રીમત પ્રસંગે પરિવાર ગયો હતો અને બપોરના અરસા દરમિયાન પોતાના ગામ બોરડી ગામે પરત ફરી રહ્યા હતા. તે વેળાએ દંપતી બાઈક ઉપર આવી રહ્યા હતા.જ્યારે અન્ય પરિવાર જનો ઈકો કારમાં પાછળ આવી રહ્યા હતા. ત્યારે મહુવા તાલુકાના આસરાણા ગામ નજીક પહોંચતા તેના જમાઈ રાજુલા તાલુકાના કુંભારીયા ગામે રહેતા તુલસી ખીમજીભાઈ ચૌહાણે તેના પત્નીને માર માર્યો હોય જેથી છનાભાઈ તેની દીકરીને કુંભારીયા ગામેથી તેનીને લઈ આવ્યા હતા. જેની દાઝ રાખી જમાઈ તુલસીએ સાસુ અને સસરા છનાભાઈને આંતરી ઉશ્કેરાઈ છનાભાઈને બેથી ત્રણ છરીના જીવલેણ ઘા ઝીંકી દઈ ગંભીર ઈજા પહોંચાડી ફરાર બન્યો હતો.
દરમિયાન ઈજાગ્રસ્ત છનાભાઈને તાત્કાલીક સારવાર અર્થે મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યા ફરજ પરના ડોકટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ઉક્ત બનાવના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ઉક્ત બનાવ સંદર્ભે મૃતક છનાભાઈના પત્ની સુરેખાબેને મોટા ખુંટવડા પોલીસ સમક્ષ તેના જમાઈ તુલસી ખીમજીભાઈ ચૌહાણ (રે. કુંભારીયા, તા. રાજુલા) વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી. 302 સહીતની કલમો તળે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હતી. જ્યારે મૃતક છનાભાઈના મૃતદેહને પેનલ પીએમ અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડાયો હતો.