ભાવનગરમાં કોર્પોરેટરના પુત્રોની લુખ્ખી દાદાગીરી, યુવકને છરીના ઘા માર્યા
ભાવનગરમાં શહેર કોર્પોરેટરના બે પુત્રો અને અન્ય શખ્સોએ અન્ય બે શખ્સો સાથે એક યુવક પર નજીવી બાબતે છરીથી હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ. ઘટમાં રાજકીય દબાણના કારણે મોડી પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ ફરિયાદ બાદ પણ હુમલો કરનારા આરોપીઓ પોલીસની પકડથી દૂર છે.
વિગતો મુજબ, ભાવનગરના કુંભારવાડા વોર્ડમાં કોર્પોરેટર બાબુભાઈ મેરના બે પુત્રોએ જાહેરમાં આતંક મચાવતા એક યુવકને છરીના ઘા મારી દીધા હતા. બોરતળાવ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. જેમાં કહેવાયું છે કે, કોર્પોરેટર બાબુબાઈ મેરના પુત્ર વિશાલ તથા પંકજ મેર, તેમજ મેહુલસિંહ અને રાહુલ નામના ચાર શખ્સોએ ભરતભાઈ ડાંગરને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો અને જૂની અદાવતને લઈને ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. જે બાદ પંકજભાઈએ ગાળો બોલવાની ના પાડતા પંકજે છકી કાઢીને ભરતભાઈના ગળા, તથા પેટના ભાગે મારી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા.
આ બાદ ઈજાગ્રસ્ત હાલતમાં પંકજભાઈને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે ચારેય શખ્સો અહીં પણ હથિયાર લઈને ભરતભાઈને મારવા માટે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઘુસી ગયા હતા. જે બાદ ચારેય વિરુદ્ધ ભરતભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ખાસ વાત એ છે કે, ફરિયાદીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટરના પુત્ર વિશાલે તેમને બોરતળાવ પોલીસના કર્મચારીઓ પોતાના ખિસ્સામાં હોવાની પણ ધમકી આપી હતી. ત્યારે હવે જોવાનું રહેશે કે જાહેરમાં દાદાગીરી કરીને હુમલો કરનારા આરોપીઓ સામે પોલીસ ક્યારે કડક પગલાં લેશે?