રામમંદિરમાં ભક્તોને તિલક કરવા અને ચરણામૃત આપવા પર પ્રતિબંધ
પૂજારીઓને મળતી દક્ષિણા પણ દાનપેટીમાં નાખવી પડશે
ભવ્ય અને દિવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા કરવા આવનાર ભક્તોના કપાળ પર તિલક નહીં લગાડવામાં આવે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ગર્ભગૃહના પૂજારીઓને તાત્કાલિક અસરથી આમ કરવાથી રોકી દીધા છે. આ ઉપરાંત ચરણામૃત આપવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવે પૂજારીઓ દ્વારા મળેલી દક્ષિણા પણ દાન પેટીમાં રાખવામાં આવશે. ટ્રસ્ટના આ નિર્ણયથી પૂજારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય અર્ચક આચાર્ય સત્યેન્દ્રદાસે ખાતરી આપી હતી કે ટ્રસ્ટના નિર્ણયનું પાલન કરવામાં આવશે.
22મી જાન્યુઆરીથી ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રી રામની સ્થાપન થયા બાદ દરરોજ રામનગરીમાં વિવિધ પ્રાંતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરવા અને તેમની ખૂબ નજીક જવા અને તેમની પૂજા કરવા આતુર હોય છે. દરેક વ્યક્તિ વીઆઈપી દર્શન કરવા આતુર છે. સામાન્ય દર્શન કરી રહેલા ભક્તોને બેરિકેડિંગ હેઠળ લાઈન લગાવીને દર્શન આપવામાં આવે છે, પરંતુ વીઆઈપી દર્શન કરનારા ભક્તોને રામલલાને નજીકથી જોવાની તક મળે છે. અહીં દર્શન કર્યા પછી, પૂજારીઓ દ્વારા તેમના માથા પર ચંદન લગાવીને અને તેમને ચરણામૃત આપીને તેમણે અભિષિક્ત કરવામાં આવતા હતા. તેનાથી ખુશ ભક્તગણ ગર્ભગૃહના પૂજારીઓને દાન-દક્ષિણા આપતા હતા. જેના કારણે પૂજારીઓને તેમના પગાર ઉપરાંત વધારાની આવક પણ થઈ જતી હતી.
જો કે ટ્રસ્ટે આને તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે અને પૂજારીઓને ભક્તોના કપાળ પર ચંદન ન લગાવવા અને ચરણામૃત ન આપવા જણાવ્યું છે. જો કોઈ ભક્ત દાન-દક્ષિણા આપે તો તેને પોતે ન લેતા દાન પેટીમાં પધરાવવાનું કહ્યું છે. ટ્રસ્ટના આ નિર્ણય સામે પૂજારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે તમામ પૂજારીઓ આ સૂચનાનું પાલન કરવા તૈયાર છે.ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, કોઈ નિર્ણય વ્યક્તિગત રીતે લેવામાં આવતો નથી, પરંતુ સામૂહિક રીતે લેવાય છે. મેં ટ્રસ્ટના સામૂહિક નિર્ણય મુજબ જ આ કરવાનું કહ્યું છે.