અયોધ્યાના રામ મંદિરને ફરી મળી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ સતર્ક
અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. વાયરલ ઓડિયોમાં આમીર નામના જૈશ-એ-મોહમ્મદના આતંકીએ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. તે કહી રહ્યો છે અમારી મસ્જિદ હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે તેને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. આતંકવાદી કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથી કુર્બાન થયા છે. અને હવે આ મંદિરને તોડવું પડશે.
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ફરી એકવાર રામજન્મભૂમિને લઈને ઝેર ઓક્યું છે. જૈશે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ અંગે એક ધમકીભર્યો ઓડિયો પણ વાયરલ થયો છે. જો કે ગુજરાત મિરર આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.
જૈશ-એ-મોહમ્મદે ઓડિયો મેસેજ મોકલીને ધમકી આપી છે. જેના કારણે રામ મંદિર સહિત મહત્વની સંસ્થાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહર્ષિ વાલ્મિકી એરપોર્ટની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ ઓડિયોની તપાસ શરૂ કરી છે.
એસએસપી રાજ કરણ નૈય્યરે મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જો કે આતંકી સંગઠન તરફથી આપવામાં આવેલી ધમકી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
તેમણે મિડિયાને કહ્યુ કે આતંકી ધમકીના ઓડિયો વિશે કોઈ માહિતી નથી. રામ મંદિર સહિત સમગ્ર રામનગરીની સુરક્ષા મજબૂત છે. અયોધ્યા ધામને અલગ-અલગ ઝોનમાં વિભાજીત કરીને તેની પર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ ઉપરાંત પીએસીની પણ ઘણી કંપનીઓ છે. એટીએસ કમાન્ડો પણ પહેલેથી જ નજર રાખી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.