દસ્તાવેજ નહીં કરી આપનાર પાસે ટોકનના 60 લાખ પરત લેવા ગયેલા જમીન-મકાનના ધંધાર્થી ઉપર હુમલો
માલિયાસણ પાસેનો બનાવ: જમીનનો સોદો કરનાર શખ્સ છેલ્લા 15 દિવસથી ફોન નહીં ઉપાડતા યુવાન ઘરે પહોંચતા ચાર શખ્સો ધોકા વડે તૂટી પડયા
શહેરમાં આવેલ રેલનગર વિસ્તારમાં રહેતા જમીન મકાનના ધંધાર્થીએ માલીયાસણ ગામે આવેલી જમીનનો સોદો કર્યો હતો અને ટોકન પેટે રૂ.60 લાખ રૂપિયા આપ્યા હતા જે જમીનનો આજે દસ્તાવેજ કરવાનો હતો પરંતુ જમીન માલિક છેલ્લા 15 દિવસથી ફોન રિસીવ નહીં કરતા જમીન મકાનના ધંધાર્થી માલીયાસણ ગામે ટોકન પેટે આપેલા રૂૂ.60 લાખ પરત લેવા ગયા હતા ત્યારે જમીન માલિક સહિત ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગર વિસ્તારમાં આવેલા ઓસ્કાર ટાવરમાં રહેતા અને જમીન મકાન લે-વેચનો વ્યવસાય કરતા ભગીરથસિંહ સુરૂૂભા વાળા નામનો 32 વર્ષનો યુવાન કુવાડવા રોડ ઉપર આવેલા માલીયાસણ પાસે હતો ત્યારે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં વિજય કિશોર અંબાસણીયા, સમીર જુણેચા અને ઇબુ જુણેજા સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જમીન મકાનના ધંધાર્થી ભગીરથસિંહ વાળાએ વિજય કિશોર અંબાસણીયા સાથે જમીનનો સોદો કર્યો હતો. અને વિજય અંબાસણીયાને ટોકન રૂૂ60 લાખ આપ્યા હતા જે જમીનનો આજે દસ્તાવેજ કરવાનો હતો પરંતુ વિજય અંબાસણીયા છેલ્લા 15 દિવસથી ફોન ઉપાડતો નહીં હોવાથી ભગીરથસિંહ વાળા ટોકન પેટે આપેલા રૂૂ.60 લાખ પરત લેવા માટે ગયા હતા ત્યારે જમીન માલિક વિજય અંબાસણીયા સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.