કોરોનાની કોવિશિલ્ડ બનાવનારી એસ્ટ્રાઝેનેકા કંપનીએ પહેલીવાર સ્વીકાર્યું!!! વેક્સિનથી શરીર પર ગંભીર આડઅસર થાય છે
સમગ્ર વિશ્વએ કોરોના મહામારીનો સામનો કર્યો હતો. આ રોગને રોકવા માટે મોટા પાયે રસીકરણ કરવામાં આવ્યું હતું. અબજો લોકોને કોવિડ રસી પણ લગાડવામાં આવી છે. આ દરમિયાન, રસીની આડઅસરનો મુદ્દો પણ સામે આવ્યો છે. કોરોનાની દવા બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સીનથી ગંભીર આડઅસર થઈ શકે છે. કંપનીએ યુનાઈટેડ કિંગડમ હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે કોવિડ-19 રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ જેવી આડ અસરોનું કારણ બની શકે છે.લંડનના અખબાર ધ ટેલિગ્રાફના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે, શરીરમાં લોહીના ગઠ્ઠા જામવાનું તેમજ શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહીના ગઠ્ઠા થવાને કારણે બ્રેઈન સ્ટ્રોક કે કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે. કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકે હાઈકોર્ટ સમક્ષ વેક્સીનની થતા આડઅસરોના આરોપોને સ્વીકાર્યા હતા. પરંતુ સાથે કંપનીએ વેકસીનની તરફેણમાં પોતાની દલીલો રજૂ કરી હતી. નોંધનીય છે કે કંપની આ વેક્સીનને વિશ્વભરમાં Covishield અને Vaxjaveria નામથી વેચે છે.
ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં રસી વિકસાવી છે. કંપની કોર્ટમાં કેસનો સામનો કરી રહી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમની રસીની ગંભીર આડઅસર છે અને મૃત્યુનું જોખમ છે. ટેલિગ્રાફ અહેવાલ આપે છે કે બે બાળકોના પિતા એમી સ્કોટે ગયા વર્ષે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.તેણે આરોપ લગાવ્યો હતો કે એસ્ટ્રાઝેનેકા વેક્સીન લીધા પછી તેના શરીરમાં લોહીનો ગંઠાઈ ગયો હતો, જેના કારણે તે કામ કરી શકતો ન હતો. એપ્રિલ 2021માં રસી અપાયા બાદ તેને મગજમાં કાયમી ઈજા થઈ હતી. મગજમાં આ ઈજા લોહીના ગઠ્ઠાને કારણે થઈ હતી. રિપોર્ટ અનુસાર, હાઈકોર્ટમાં આવા 51 કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં પીડિતોએ વળતર તરીકે અંદાજિત 100 મિલિયન પાઉન્ડ સુધીના નુકસાનની માંગ કરી છે.
કંપનીએ મે 2023માં સ્કોટના વકીલોને કહ્યું હતું કે તેઓ સ્વીકારતા નથી કે TTS સામાન્ય રીતે રસીને કારણે થાય છે. જો કે, ફેબ્રુઆરીમાં હાઈકોર્ટમાં સબમિટ કરાયેલા કાનૂની દસ્તાવેજોમાં એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું હતું કે તેમની રસી કેટલાક કિસ્સાઓમાં TTSનું કારણ બની શકે છે. કોવિશિલ્ડ રસી એસ્ટ્રાઝેનેકાનો એક ભાગ છે. એસ્ટ્રાઝેનેકાએ ભારત સરકારને રસી સપ્લાય કરવા માટે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) સાથે પણ ભાગીદારી કરી હતી. ભારતમાં પણ આ રસીથી લોકોને રસી આપવામાં આવી છે.