28 કાર ભાડે લઇ બારોબાર વેચી નાખવાનું વધુ એક કૌભાંડ: ચાર ઝડપાયા
સુરતના મેટ્રો પ્રોજેકટના નામે કાર ભાડે મેળવતા હતા: ચારેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે
અમરેલી પોલીસે સુરતના ચાર શખ્સોને ઉઠાવી લીધા, 3.98 કરોડની 28 કાર જપ્ત
ઊંચા ભાડાની લાલચ આપી કાર ભાડે મેળવ્યા બાદ બારોબાર વેચી નાખવાના કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે.અમરેલી પોલીસે સુરતથી ચાર શખ્સોને પોણા ચાર કરોડની કિંમતની 28 કાર સાથે ઝડપી પાડ્યા છે.સુરત મેટ્રો પ્રોજેક્ટમાં કાર ભાડે મૂકવાની વાત કરી ઠગ ટોળકી કારમાલિકો પાસેથી કાર ભાડા પર મેળવતા હતા.બે ત્રણ મહિના સુધી ભાડું પણ આપતા હતા.બાદમાં કારને બારોબાર વેચી નાખતા અથવા ગિરવે મૂકી પૈસા ઉપાડી લેતા હતા અને કારમાલિકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા.અમરેલી ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના કારમાલિકો પણ આ ટોળકીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસે અત્યાર સુધીમાં 28 કાર કબજે કરી લીધી છે. આગામી દિવસોમાં આ આંકડો વધવાની પૂરી શક્યતા છે.
સુરતમાં રહેતા અલ્પેશ જરીવાલા, મયૂર સાંડીસ, યોગેશ પટેલ અને મીત રાઠોડ નામના શખ્સોની આ રેકેટમાં સંડોવણી ખૂલી છે. મયૂર સાંડીસ નામના શખ્સનું અમરેલી કનેકશન હોય તે અમરેલીના કારમાલિકોને સુરતના મેટ્રો પ્રોજેક્ટ માટે કારની જરૂૂરિયાત હોઇ ભાડે મેળવવા માટે ઊંચા ભાડાની લાલચ આપતો હતો. આરોપીઓ કાર ભાડે મેળવ્યા બાદ બે ત્રણ મહિના સુધી કાર માલિકોને ભાડાની ચૂકવણી પણ કરતા હતા. પરંતુ, બાદમાં કારને ત્રીજા વ્યકિતને સસ્તા ભાવે વેચી નાખતા અથવા તો ગિરવે મૂકી પૈસા લઈ લેતા હતા. ત્યારબાદ કારના મૂળ માલિકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા.
ભાડા પર કાર મેળવી બારોબાર વેચી નાખવાના અથવા ગિરવે મૂકી દેવાના રેકેટમાં કુલ ચાર આરોપીઓની સંડોવણી ખૂલી છે.જેનો માસ્ટર માઈન્ડ અલ્પેશ જરીવાલા છે. જ્યારે મયૂર સાંડીસ નામનો શખ્સ હાલ સુરતમાં રહે છે પરંતુ, તેનું અમરેલી કનેક્શન છે. મયૂર જ અમરેલીના લોકો પાસેથી કાર મેળવી અલ્પેશને પૂરી પાડતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે યોગેશ પટેલ અને મીત રાઠોડ બંને અલ્પેશની ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે.
અમરેલીના લાલજીભાઈ મકવાણાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ અમરેલી પોલીસ એક્ટિવ થઈ હતી. આ ફરિયાદમાં અન્ય ભોગ બનનારા 23 સાહેદો પણ છે. સુરતમાં રહેતા લોકોએ અમરેલીથી કાર મેળવ્યા બાદ ગુજરાતનાં અલગ અલગ શહેરો ઉપરાંત અન્ય રાજ્યોમાં વેચી નાખી હતી. જેથી પોલીસે એક બાદ એક કાર કબજે કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે 28 કાર જપ્ત કરી છે. જેની કિંમત પોણા ચાર કરોડ રૂૂપિયા થવા જાય છે.
જ્યારે વાહનનું વેચાણ થતું હોય છે ત્યારે છઝઘમાં નામ ટ્રાન્સફરની પ્રોસેસ થતી હોય છે.આ બનાવમાં જે આરોપીઓ છે તેઓ છેતરપિંડીથી મેળવેલી કાર સસ્તા ભાવે વેચી નાખ્યા બાદ ખરીદનારને બે ત્રણ મહિનામાં દસ્તાવેજ કરી દેવાની લાલચ આપતા હતા.પોલીસના મતે આ સમગ્ર કૌભાંડ છેલ્લા છ મહિના દરમિયાન જ આચરવામાં આવેલું છે.
માસ્ટર માઇન્ડ અલ્પેશ જરીવાલા વિરુદ્ધ છેતરપિંડી સહિત 15 ગુના
કાર બારોબાર વેચી નાખવાના કેસના માસ્ટર માઈન્ટ અલ્પેશ જરીવાલા સામે પ્રોહિબિશનના 8, છેતરપિંડીના 2, મારામારીનો 1, જુગારના 2, ચોરીનો 1 અને આર્મ્સ એક્ટના 1 ગુના સહિત કુલ 15 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.