મોરબી મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ દૂર કરવા ફરી નોટિસ
મોરબીના મચ્છુ નદીના પટમાં ગેરકાયદે બાંધકામ અંગે વિવાદ થયા બાદ તંત્ર દોડતું થયું હતું અને નોટીસ ફટકારવા સહિતની કામગીરી કરવામાં આવી હતી તો કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા જેમાં ગેરકાયદે બાંધકામ સામે આવ્યું હતું અને આ બાંધકામ હટાવવા આદેશ કર્યા હતા જોકે હજુ વિવાદિત બાંધકામ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે પાલિકા તંત્રએ ફરી વખત નોટીસ ફટકારી છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના વહીવટકર્તા, ભરતભાઈ ભગવાનજીભાઈ બોપ્લીયા, નરેન્દ્રભાઈ દામજીભાઈ વડાવીયા, અતુલ ચંદુલાલ ઘોડાસરા, હરેશ દેવરાજ વામજા, પ્રવીણભાઈ જીવરાજભાઈ ક્કાસણીય, જીતેશ પ્રભુભાઈ ચારોલા, રમેશ હરજીભાઈ પાંચોટિયા, દિનેશચંદ્ર રેવાભાઈ નાયગપરા, વિઠ્ઠલભાઈ લવજીભાઈ ગોધાણી, મનહરલાલ શિવલાલ ફેફર, અરવિંદભાઈ સુંદરજીભાઈ જીવાણી એમ 12 આસામીઓને નોટીસ ફટકારી છે જેમાં જણાવ્યું છે કે આપને નદીના પટમાં થયેલ ગેરકાયદે બાંધકામ દિન 2 માં સંસ્થાના ખર્ચે દુર કરવાની કામગીરી શરુ કરવા સુચના આપવામાં આવેલ છે છતાં નદીના પટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ આજદિન સુધી દુર કરવાની કઈપણ કાર્યવાહી ના કરી ઘોર બેદરકારી દાખવી છે.
સરકારની જોગવાઈઓ મુજબ વોટરબોડી લાઈનના કંટ્રોલ લાઈન 30 મીટરમાં કોઈપણ બાંધકામ કરવાનું ના હોય છતાં નદીના પટથી 30 મીટરની અંદર કંટ્રોલ લાઈનમાં ગેરકાયદેસર બાંધકામ આપના દ્વારા કરેલ છે કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગના અહેવાલ મુજબ નદીના પટમાં થયેલ બાંધકામ મુજબ અચાનક વધુ વરસાદ થાય ત્યારે નદીના વહેણને અસર થયા ને વરસાદના વહેણનો અવરોધ થવાની પુર જેવી સ્થિતિ થાય આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના લીધે, ભારે જાનહાનીને નુકશાન થવાની સંભાવના રહેલ છે.
જેથી નોટીસ આપી જણાવવામાં આવે છે કે મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં મોજે મોરબી ગામના સર્વેમાં થયેલ તમામ ગેરકાયદેસર બાંધકામ તમારા દ્વારા તાત્કાલિક દૂર કરવા જણાવવામાં આવે છે અને જો દુર કરવામાં નહિ આવે તો કોઈપણ જાનહાની થાય તેની જવાબદારી આપની રહેશે જેની ગંભીરતાથી નોંધ લેવા જણાવ્યું છે.