દહેજના ખપ્પરમાં વધુ એક પરિણીતાનો ભોગ લેવાયો; વિરવામાં યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો
આજના આધુનિક યુગમાં પણ દહેજ ભુખીયા સાસરિયાઓના ત્રાસને કારણે નવોઢાના જીવતર હોમાઈ રહ્યાં છે. જેમાં રાજકોટનાં લોધિકા તાલુકાના વિરવા ગામે રહેતી પરિણીતાએ ભાવનગર ખાતે રહેતા દહેજ ભુખીયા સાસરિયાઓના ત્રાસથી કંટાળી જઈને માવતરમાં ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ અંગે પોલીસે પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના લોધિકા તાલુકાના વીરવા ગામે રહેતા અને રાજકોટમાં ફાયનાન્સ ઓફિસમાં નોકરી કરતાં કૃષ્ણપાલસિંહ હરવિજયસિંહ જાડેજા (ઉ.33)એ લોધિકા પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ચોક ગામના વતની કુલદીપસિૈંહ ગુલાબસિંહ સરવૈયા, નણંદ રિનાબા ગુલાબસિંહ સરવૈયા, સાસુ હંસાબેન ગુલાબસિંહ સરવૈયા, સસરા ગુલાબસિંહ દિલાવરસિંહ સરવૈયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની નાનીબેન ધર્મિષ્ઠા ઉર્ફે ભુમિબાના ગત તા.1-2-2020ના રોજ પાલિતાણાના ચોક ગામના વતની અને કોર્ટમાં નોકરી કરતા કુલદીપસિંહ સરવૈયા સાથે લગ્ન થયા હતાં અને લગ્ન બાદ બેન સાસરે ગયા બાદ પતિ સહિતના સાસરિયાઓ અવારનવાર ઘર કામ બાબતે અને દહેજ બાબતે ત્રાસ આપી હેરાન કરતાં હતાં.
પતિ સહિતના સાસરિયાઓ દ્વારા દહેજ બાબતે અવારનવાર ત્રાસ આપતાં હોવાની અને કરિયાવરની માંગણી કરતાં હોવાના ફોનમાં રેકોર્ડીંગ કરી માવતરને મોકલવામાં આવતાં હતાં. થોડા સમય પહેલા ફરિયાદીની માતા બિમાર રહેતા હોય બહેનને માવતરે તેડી લાવ્યા હતાં અને ગત તા.23-5-2024ના ફરિયાદી અને તેના પરિવારજનો માતાને સારવાર અર્થે રાજકોટ લઈ ગયા હતાં. આ વખતે ધર્મિષ્ઠાબેન ઘરે એકલા હતાં ત્યારે ફોન કરી માતાની ખબરઅંતર પુછયા બાદ ધર્મિષ્ઠાબેને માવતરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પરિણીતાને માવતરે તેડી લાવ્યા બાદ સાસરિયાઓ દ્વારા કોઈ જ વાતચીત કરતાં ન હતા અને તેમને તેડવા પણ આવતાં ન હતાં. એટલું જ નહીં પરંતુ ધર્મિષ્ઠાબેનને સાસરિએ પરત મુકવાનું કહેતા સાસરિયાઓએ ધસીને ના પાડી દીધી હતી. જેના કારણે યુવતી સતત ટેન્શનમાં રહેતી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.