રાજ્યના વધુ 122 તાલુકામાં વરસાદ, વિસાવદર-ગાંધીધામમાં 4 ઈંચ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સક્રિય થયેલા ચોમાસાના કારણે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલે 153 તાલુકામાં વરસાદ નોંધાયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 122 તાલુકામાં ઝાપટાથી માંડી સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ આજે સવારથી પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યાના અહેવાલો મળે છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વિસાવદરમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. આ પૂર્વે બે દિવસ પહેલા પણ વિસાવદરમાં ભારે વરસાદ પડયો હતો. આ સિવાય કચ્છના ગાંધીધામમાં રાત્રે 10 થી 12 વાગ્યા વચ્ચે માત્ર બે કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો.આ સિવાય દાંતામાં અઢી ઈંચ, સરસ્વતિમાં અને ખેડામાં સવા બે ઈંચ, જલાલપોરમાં સવા બે, ડોસવાણ, દિયોદર, સિધ્ધપુર, ડેસર-માંડવી (કચ્છ), વાંસદા, નેત્રંગ, અંજાર, પાટણ, ડેડિયાપાડા, ખંભાળીયા, કલોલ સહિતના તાલુકાઓમાં સવાથી માંડી બે ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ 26 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 21 તાલુકામાં અડધોથી એક ઈંચ વરસાદ પડયો છે.
ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે જોર પકડી રહ્યું હોય તેમ લાગી રહ્યુ છે. રાજ્યમાં ક્યાંક ગરમી અને બફારો અનુભવાઇ રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગુજરાતીઓ રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી , સુરેન્દ્રનગર અને ગીર સોમનાથમાં અનેક નદીનાળાઓમાં નવા નીર આવવાથી લોકોના ઉત્સાહમાં વધારો થયો છે.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આપી છે. જેમા તેમણે બે દિવસ માટે દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે આ સાથે પવનની મહત્તમ 55 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂ્ંકાઇ શકે છે તેમ પણ જણાવ્યુ છે.
રામાશ્રય યાદવે આજે બુધવાર (26-06-24) માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરૂૂવારે (27-06-24)પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુરૂૂવારે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
જ્યારે શુક્રવારે (28-06-24) એટલે કે, 28મી જૂનના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ થશે. આ સાથે આ તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દિવસે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.