ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરાયું
ભાણવડ પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી પશુ-પંખીઓના બચાવ તથા સેવા પ્રવૃત્તિઓ સાથે અંધશ્રદ્ધા નિર્મૂલન અને લોક જાગૃતિની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી એનિમલ લવર ગ્રુપ સંસ્થા દ્વારા રવિવારે માટીના ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં પંખીઓને મદદરૂપ થવાના ઉમદા આશયથી ભાણવડની પશુ સેવા સંસ્થા એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા રણજીતપરામાં આવેલા નંદી આશ્રમ ખાતે દાતાઓ તથા સ્વયંસેવકોના સૌજન્યથી આ આયોજન કરાયું હતું. રવિવારે સાંજે માત્ર બે કલાકમાં જ 1500 પાણીના કુંડા તથા 1500 ચકલી ઘર ભાણવડ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને વિતરણ કરાયા હતા.
આ આયોજનમાં સંસ્થાના અશોકભાઈ ભટ્ટ દ્વારા લોકોને તેમના ઘરની આસપાસ તથા અગાસી, પારી પર કુંડામાં પાણી ભરીને રાખવા તથા જ્યાં બિલાડી જેવા પશુઓ ન પહોંચે ત્યાં ચકલી ઘર રાખીને પ્રકૃતિના આ નિર્દોષ જીવ તત્વોને બચાવવાની અપીલ કરવામાં આવી હતી. જેમાં શિવ આશ્રમ સંસ્થાના પણ સદસ્યો તથા સ્વયંસેવકો સહભાગી થયા હતા.