ચૂંટણીમાં મને ઘેરી લીધો, હવે વિરોધીઓ સહન શક્તિ રાખે: સુતરીયા
અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ બાબરા નગરપાલિકા બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન થયેલા વિરોધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચૂંટણી સમયે મને ઘેરી લીધો હતો. જિંદગીમાં જેનું ક્યારે સેવન નથી કર્યું, એ વસ્તુ સામે મને બેસાડી દીધો હતો હવે વિરોધીઓએ સહન કરવાની શક્તિ રાખવી પડશે.
લોકસભાની ચૂંટણી વખતે સાંસદ ભરત સુતરિયા પર વિરોધીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ એવા પ્રકારનો આહાર અને સેવન કરે છે અને વ્યસન કરે છે. જેનો જવાબ આપતા સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી સમયે તેમને એટલો ઘેરી લેવામાં આવ્યા હતા કે, તેમને એવો આહાર અને સેવન કરાવી દીધો હતો જે તેમણે ક્યારેય કર્યો નહોતો.
મે જિંદગીમાં જે વસ્તુ જોઈ ન હતી તેની સામે મને બેસાડી દીધો હતો. તેમણે ઉમેર્યું કે, હું ખેડૂતનો દીકરો છું, ખેડૂત ખેતી કરી જાણે છે અને લોકોને ભેળસેળવાળું નથી ખવડાવતા. સાંસદે શાયરીના અંદાજમાં વિરોધીઓને જવાબ આપતા જણાવ્યું કે, કયું ના મેં બદલું તુમ વહી હો ક્યાં, માના મેં ગલત હું તુમ સહી હો ક્યાં. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હવે સહન કરવાની શક્તિ હોવી જોઈએ.
ભરત સુતરિયાએ અમરેલી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે, અત્યારે 2500 કરોડ રૂૂપિયાના વિકાસ કાર્યો થયા છે. હું ગમે ત્યાં જાવ છું, લોકો કહે છે કે અમરેલીમાં ભરપૂર વિકાસ દેખાય છે. તેમણે જિલ્લાના પાંચ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખની ટીમ દ્વારા થયેલા સંયુક્ત પ્રયાસોને પણ બિરદાવ્યાં હતા.
બીજી તરફ રાજય કક્ષાના મંત્રી કૌશીક વેકરીયાએ જણાવ્યું કે, વિકાસ માટે આપણે દેશી ભાષામાં કહીએ તો કોથળો ભરી દીધો છે, ગાસડી ખોલી દીધી છે એ પ્રકારની શરૂૂઆત લાંબા સમય પછી અમરેલી જિલ્લામાં જોવા મળી છે. માત્ર બાબરા નગરપાલિકામાં જ 47 કરોડના વિકાસના કામોના ખાતમૂર્હત અને કામો થયા છે તે કોઈ નાની વાત ન કહેવાય.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સમયે ભાજપના નેતા અને પૂર્વ સાસંદ નારણ કાછડિયાની ટીકીટ કપાઈ જતા ભાજપમાં જ અંદરો અંદર વિવાદ થયો હતો. ભરત સુતરિયા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતા.
ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના નેતાઓએ ભરત સુતરિયાને જે તે વખતે આડે હાથ લીધા હતા. તેમનો અભ્યાસ, આહાર, વ્યસન સહિતના મુદ્દે આક્ષેપો કરાયા હતા. કેટલાક ગામડામાં ભરત સુતરીયાના વિરોધમાં કાર્યકરોએ બેનરો પણ લગાવ્યાં હતા.
બાબરામાં આયોજીત કાર્યક્રમમાં ભરત સુતરિયાએ આ તમામ આક્ષેપોના જવાબો આપ્યા હતા. બાબરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે નગરપાલિકા બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.