લીલિયાના મોટા કણકોટમાં સિંહણનો મૃતદેહ મળતા મોતનું કારણ જાણવા વન વિભાગે તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં આવેલા મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગને માહિતી મળતા જ લીલીયા રેન્જ આરએફઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈને લીલીયાના ક્રાકચ નજીક આવેલા એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમ (પીએમ)ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પીએમ કર્યાં બાદ મૃતદેહના નમૂના એકત્ર કરીને વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. સિંહણના મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માટે વન વિભાગની ટીમો દ્વારા સ્થળ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરવામાં આવી છે. આસપાસના સ્થાનિક ખેડૂતોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
વન વિભાગ એ દિશામાં પણ તપાસ કરી રહ્યું છે કે, સિંહણનો મૃતદેહ કેટલા સમયથી આ વિસ્તારમાં પડ્યો હતો. આ તપાસનો મુખ્ય હેતું સિંહણના મૃત્યુ પાછળના કારણો અને સંજોગોને સ્પષ્ટ કરવાનો છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ઇન્ચાર્જ ડીસીએફ યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારી ટીમને માહિતી મળતા જ આરએફઓ અને એસીએફ સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે. તપાસ ચાલી રહી છે અને પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિંહણનું મોત કેવી રીતે થયું તે અંગેની તપાસ પ્રગતિમાં છે.