સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસનું શુકન સાચવતા મેઘરાજા
અમરેલી, કુંકાવાવ, વડિયા, ગોંડલ ભેંસાણ, ગારિયાધાર, બાબરા પંથકમાં 0॥થી1। ઈંચ
સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભીમ અગિયારસનું સુકન સાચવ્યું હોય તેમ ગઈકાલે અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં અડધાથી સવા ઈંચ વરસાદ વરસાવ્યો હતો. જેમાં કુંકાવાવ 1। ઈંચ, ગોંડલ 1 ઈંચ, ભેંસાણ 0॥ ઈંચ, ગારિયાધાર અને બાબરામાં ઝાપટા સ્વરૂપે પાણી વરસી ગયું હતું.
હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલીના ખાંભા, ધારી, બગસરા, વડીયા સહિતના ગીર પંથકમાં વરસાદ ખાબક્યો છે. નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. બગસરાના સુડાવડ, મોટા મુંજયાસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળું પાકને ભારે નુકાસન થવાની ભીતિ સેવાઇ રહી છે. ગોંડલ માં દિવસભર નાં આકરા તાપ અને અસહ્ય બફારા વચ્ચે સાંજે આકાશ ગોરંભાયું હતુ.વિજળીની ગગનભેદી ગાજવીજ સાથે ધોધમાર એક ઇંચ વરસાદ વરસ્યો હતો.વરસાદ ને પગલે રાતાપુલ, ઉમવાડા અંડરબ્રિજ સહિત પાણી ભરાયા હતા.અને રાજમાર્ગોપર નદીનાં વહેણની માફક પાણી વહ્યા હતા.
વરસાદ ને કારણે ઠંડક પ્રસરતા અસહ્ય બફારા થી અકળાયેલા લોકોને રાહત મળી હતી. અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા અને તેના આસપાસ ના ગ્રામીણ વિસ્તાર માં ઢળતી સાંજે વાતાવરણ માં અચાનક પલટો થતા પવન સાથે ધોધમાર વરસાદનુ આગમન થયું હતુ. સતત એક કલાક માં એક ઇંચ થી વધુ વરસેલા વરસાદે વડિયાની બજારો પાણી પાણી કરી હતી. તો ઉનાળુ પાકની આખરી સીઝન ચાલતી હોવાથી ક્યાંક ખેતી ક્ષેત્ર માં નુકશાન તો આગતરું વાવેતર કરનાર ખેડૂતો માં ખુશી જોવા મળી હતી. અંતે લોકોમાં મેઘરાજએ અગિયારસ નુ મુર્હત સાચવ્યું એવી ચર્ચાઓ જોવા મળી હતી.