અમરેલીમાં વ્યાજખોરે ત્રણ લાખના 12 લાખ વસુલ્યા પછી 40 લાખની જમીન પડાવી લીધી
વ્યાજખોરના ત્રાસથી કંટાળી ખેડૂત પુત્ર ઘર મુકી ભાગી ગયો: 11.20 લાખનો કપાસ અને ખેતીના સાધનો પણ પડાવી લીધા
અમરેલી જિલ્લામા જાણે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા હોય અને પોલીસનુ અસ્તિત્વ ન હોય તેમ વ્યાજખોરો લોકોને ચુસી રહ્યાં છે. લાપાળીયાના ખેડૂતે માત્ર 3 લાખ વ્યાજે લીધા હતા જે પેટે તેણે 63 લાખથી વધુની રકમ ચુકવી છતા હજુ વ્યાજખેાર તગડી રકમ માંગી રહ્યો છે.
હજુ ગઇકાલે જ સાવરકુંડલાના એક વેપારીએ વ્યાજખેારના ત્રાસથી આપઘાત કરી લીધાની ઘટના તાજી છે ત્યાં જાણે લોહી ચુસતા હોય તેવા તગડા વ્યાજની બીજી ઘટના સામે આવી છે. જે અંગે અમરેલીના લાપાળીયા ગામના કનુભાઇ જાદવભાઇ લુણાગરીયાએ જસદણના વાજસુરપુરામા રહેતા બાબુ પરશોતમ તેરૈયા સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે ચાર વર્ષ પહેલા તેના મોટા દીકરા શૈલેષે આ શખ્સ પાસેથી 10 ટકાના વ્યાજે 3 લાખ રૂૂપિયા લીધા હતા. પરંતુ આ શખ્સે તેના પર 30 ટકા ચક્રવૃધ્ધિ વ્યાજ લગાવી 12 લાખનુ વ્યાજ વસુલ્યુ હતુ. ત્યારબાદ પણ મુદલ અને વ્યાજની રકમ બાકી ગણાવી રૂૂપિયા 40 લાખની કિમતની નવ વિઘા જમીન માત્ર રૂૂપિયા 11 લાખનુ બાનાખત દર્શાવીને પોતાના નામે કરી હતી.
વાત આટલેથી અટકતી નથી. ત્યારબાદ પણ આ શખ્સે વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી અને તેમના ઘરમાથી રૂૂપિયા 11.20 લાખનો કપાસ અને 12 હજારના અન્ય ખેતીના સાધનો લઇ લીધા હતા. અને હજુ પણ આ શખ્સ વધુ વ્યાજની ઉઘરાણી કરતો હોય આખરે તેમણે અમરેલી તાલુકા પોલીસ મથકે દોડી જઇ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
પોલીસ અવાર નવાર લોક દરબાર યોજે છે. પરંતુ વ્યાજખોરોથી પીડિત લોકો સુધી પોલીસનો સંદેશ પહોંચતો નથી. જેથી બહુ ઓછા પીડિત લોક દરબારમાં આવે છે. પોલીસે છેવાડાના માણસ સુધી લોક દરબારનો સંદેશો પહોંચાડવો જોઇએ. કનુભાઇ લુણાગરીયાએ જણાવ્યું હતુ કે વ્યાજખોરના ત્રાસના કારણે તેનો પુત્ર શૈલેષ થોડા દિવસ પહેલા લેણાવાળો મને જીવવા નહી દે, મારી નાખશે. તમે મને શોધતા નહી તેમ કહી ઘરેથી ચાલ્યો ગયો હતો. જેનો હજુ કોઇ સંપર્ક થયો નથી. જસદણના બાબુ પરશોતમ તેરૈયાએ દર મહિને 30 ટકા ચક્રવૃધ્ધિ વ્યાજ વસુલવા આ પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. અને ઘરમા આવી દબડાવતો હતો.