અમરેલી જિલ્લામાં ખેતી-પાકને નુકસાન બાબતે કોંગ્રેસ દ્વારા આંંદોલનની ચિમકી
અમરેલી જિલ્લામાં ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનના મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારે ફક્ત કપાસના પાકના નુકસાન માટે જ સહાયની જાહેરાત કરી છે, જ્યારે અન્ય પાકોના નુકસાનની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, અમરેલી જિલ્લાના કોઈપણ ગામમાં સરકાર દ્વારા પાક નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો નથી, જે ખેડૂતોના હિત પર કૂઠારાઘાત છે.
દુધાતે સરકારને આગામી 10 દિવસનો અલ્ટીમેટમ આપતાં ચીમકી આપી કે, જો સરકારે પાક નુકસાનના પેકેજ અંગે સ્પષ્ટ નિર્ણય નહીં લે અને તમામ પાકોનો સમાવેશ નહીં કરે, તો કોંગ્રેસ દ્વારા ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરીને મોટું આંદોલન ઉભું કરવામાં આવશે. તેમણે ખેડૂતોના હક્કોની લડાઈ માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતા દર્શાવી.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શુક્રવાર, તા. 18 જુલાઈ 2025ના રોજ પણ અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોની સમસ્યાઓને લઈને લીલીયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં સરકારે ઓક્ટોબર 2024માં અતિવૃષ્ટિને કારણે થયેલા પાક નુકસાન માટે તમામ પાકોને સહાય પેકેજમાં સામેલ કરવાની માગ કરવામાં આવી હતી. પ્રતાપ દુધાતે જણાવ્યું કે, ખેડૂતો અમરેલીની અર્થવ્યવસ્થાની રીઢ છે અને તેમની અવગણના આગામી દિવસોમાં સરકારને ભારે પડશે. અમે ખેડૂતોના હક્કો માટે લડતા રહીશું. તેમણે સરકારને તાત્કાલિક પગલાં લઈને ખેડૂતોને ન્યાય આપવાની માગ કરી.