અમરેલી એસ.પી. વિરૂદ્ધ કરેલા નિવેદન બાદ પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીની પલટી
ભાજપના વરિષ્ઠ સભ્ય, પૂર્વ સાંસદ દિલીપ સંધાણીએ, અમરેલી જિલ્લા પોલીસ વડા બાબતે ઉચ્ચારેલ શબ્દો આખરે પાછા ખેંચ્યા હતા.અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી કાર્યકરો અને અમરેલી જિલ્લા પોલીસ વડા વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી ખેંચતાણ-વાદ વિવાદ ચાલી રહ્યો છે. તેમાં પૂર્વ સાંસદ દિલીપ સંધાણીએ પણ કોઈ પણ જાતની તપાસ વિના ઝંપલાવ્યું હતું. જો કે આખરે તેમણે જિલ્લા પોલીસ વડા માટે ઉચ્ચારેલા તમામ શબ્દો પાછા ખેંચ્યાં હતા.
અમરેલી જિલ્લામાં ભાજપના અગ્રણી કાર્યકરો દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી, દારુ, કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દે જિલ્લા પોલીસ વડા સંજય ખેરાતને નિશાન બનાવ્યા છે. ભાજપના કેટલાક કાર્યકરો દ્વારા એસપી સંજય ખરાત સામે આક્ષેપો કરાયા હતા. આ વિવાદમાં અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી અને પૂર્વ સાંસદ દિલીપ સંધાણીને કેટલાક કાર્યકરોએ જિલ્લા પોલીસ વડા બાબતે જે કોઈ વિગતો જણાવી તેના આધારે દિલીપ સંધાણીએ જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત સામે ધારદાર નિવેદનો કર્યા હતા. કાયદાના રક્ષક કાયદાના ભક્ષક બની રહ્યાં હોવાનું જણાવ્યું હતું.
જો કે આ તમામ વિગતો અને તેમનુ નિવેદન માહિતીદોષયુક્ત અને સત્યથી વેગળી હોવાનું સંજય ખેરાતે ફોન કરીને દિલીપ સંધાણીને જણાવતા જ, દિલીપ સંધાણીએ પોતાની ભૂલ કબુલીને જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત માટે ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં હતા. તેમણે કહ્યું કે, મારે જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત માટે જાહેર નિવેદન કરતા પૂર્વે વિગતોની સત્યતા ચકાસવાની જરૂૂર હતી. સંજય ખેરાત સાથે પણ આ બાબતે એકવાર વાત કરવાની જરૂૂર હતી. જો કે જેવો સંપર્ક થયો અને સ્પષ્ટતા થતા જ તેમના વિશે મે કરેલ નિવેદન પાછુ ખેંચુ છુ.