પન્નુ મામલે ભારતની તપાસથી અમેરિકા સંતુષ્ટ
ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ કહ્યું છે કે ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં બિડેન પ્રશાસન ભારતની જવાબદારીથી સંતુષ્ટ છે. એરિક ગારસેટીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ રશિયાના વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે અમેરિકા કોઈ પણ વિશ્વસનીય પુરાવા વિના ભારત પર આરોપ લગાવી રહ્યું છે. રશિયાએ એમ પણ કહ્યું કે અમેરિકા એક રાજ્ય તરીકે ભારતનો અનાદર કરી રહ્યું છે. રશિયાના નિવેદન બાદ જ અમેરિકી રાજદૂતનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે તેઓ ભારતની તપાસથી સંતુષ્ટ છે.
યુએસ થિંક ટેન્ક કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા એરિક ગારસેટીએ કહ્યું, જ્યારે હું સંબંધોમાં ઉતાર-ચઢાવની વાત કરું છું, ત્યારે અમારા સંબંધોમાં આ પહેલી મોટી લડાઈ છે. મારે કહેવું છે કે અમે અત્યાર સુધી કરેલી માંગણીઓમાં બાઇડેન સરકાર ભારતની જવાબદારીથી સંતુષ્ટ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકન ધરતી પર અમેરિકન નાગરિકની હત્યાનો કોઈપણ પ્રયાસ યુએસ માટે લાલ રેખા છે.
જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુરપતવંત સિંહ પન્નુ કેસની તપાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તપાસ હજુ ચાલી રહી છે અને જ્યાં સુધી આરોપો સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ આના પર કંઈ કહેશે નહીં.