ઇશાન-શ્રેયસનો સેન્ટ્રલ કોન્ટ્રાકટમાં સામેલ ન કરવાનો નિર્ણય અગરકરનો
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું હતું. સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર અને વિકેટકીપર ઈશાન કિશનને આ યાદીમાં સ્થાન મળ્યું નથી. માત્ર ઈશાન અને શ્રેયસ જ નહીં પરંતુ ચેતેશ્વર પૂજારા, શિખર ધવન, લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ અને દીપક હુડા પણ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ‘આઉટ’ થયેલા ખેલાડીઓમાં સામેલ હતા. હવે ઈશાન અને શ્રેયસના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વિવાદને લઈને BCCI સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. જય શાહે કહ્યું કે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને કેન્દ્રીય કરારમાંથી બહાર રાખવાનો નિર્ણય મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો હતો. મીડિયા સાથે વાત કરતા શાહે કહ્યું, તમે બંધારણ જોઈ શકો છો. હું માત્ર પસંદગી સમિતિની બેઠક બોલાવું છું. તે નિર્ણય અજીત અગરકરનો હતો. જય શાહે વધુમાં કહ્યું, જ્યારે આ બે ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા ન હતા, ત્યારે તેમને બહાર રાખવાનો નિર્ણય અગરકરનો હતો. મારું કામ માત્ર તેનો અમલ કરવાનું છે. અમને સંજુ સેમસન જેવો સારો ખેલાડી મળ્યો છે.