છૂટાછેડા બાદ મજૂરી કામમાં બાધારૂપ માસૂમ બાળકને જનેતાએ તરછોડી દીધું
સામખિયાળી નજીક ચાલુ ટ્રેનમાંથી 3 વર્ષીય એક બાળક મળી આવ્યું હતું. જે અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બાળકને તેની માતા ત્યજીને નાસી ગઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી બાદમાં આ મહિલાને પકડી પાડી હતી.
આ સમગ્ર ઘટનામાં મળતી વિગતો અનુસાર,ટ્રેન ભુજથી ઉપડતી હોવાથી પોલીસે ભુજ રેલવે મથકે લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા જેમાં તા. 21/6ના ટ્રેન ઉપડવાના સમયે આ બાળક સાથે પાતળા બાંધાની મહિલા અને એક પુરુષ સાથે દેખાયો હતો.
ટ્રેન ઉપડતા પુરુષ નીચે ઉતરી ગયો હતો અને મહિલા બાળકને લઇ ટ્રેનમાં રહ્યા હતા. બાદમાં ગાંધીધામ રેલવે મથકે લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ કરવામાં આવી હતી.જ્યાં બાળકને ટ્રેનમાં મૂકીને આ મહિલા બહાર નીકળતી હોવાનું જણાયું હતું.પોતાના બાળકને સંપૂર્ણ રીતે ત્યજી દેવાના ઈરાદાથી આ મહિલા તેને મૂકીને નાસી ગઈ હતી. તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આ મહિલાને પોલીસે પકડી પાડી પૂછપરછ હાથ ધરી હતી.
જેમાં મૂળ અમદાવાદની આ મહિલાના લગ્ન અગાઉ પાલનપુર બાજુ થયા હતા જ્યાં લગ્નજીવનમાં તેને આ બાળકની પ્રાપ્તિ થઈ હતી પરંતુ બાદમાં આ દંપતીના છૂટાછેડા થતા મહિલા બાળક સાથે અમદાવાદ જતી રહી હતી.જ્યાં તેને એક બિહારી શખ્સ મળ્યો હતો અને કામ અપાવવાનું કહ્યું હતું. ભુજમાં આવી બંને સાથે રહી મજૂરી કરતા હતા. પરંતુ ત્યાં શેઠે બાળકને કામ પર લાગી જવાનું કહી તેને કામ પર ન લઈ આવવા જણાવ્યું હતું.જેથી અ મહિલા અને બિહાર શખ્સે બાળકને નાનીને ત્યાં અમદાવાદ મૂકી આવવા નિર્ણય કર્યો હતો.મહિલા તેને અમદાવાદ ખાતે નાનીને ત્યાં મૂકવા જઈ રહી હતી.પરંતુ બાદમાં ગાંધીધામ રેલવે મથકે ટ્રેન પહોંચતા તેને ત્યજી દઈને આ મહિલા નાસી ગઈ હોવાનું રેલવે પીએસઆઈ. જે.બી. કુરેશીએ જણાવ્યું હતું.