વેપારીને બંધ નહિ રાખવા પોલીસે ધમકાવ્યાની કોંગ્રેસની રજૂઆત બાદ તપાસના આદેશ
જંકશન પ્લોટના વેપારીને ફોન કરનાર હેડકોન્સ્ટેબલને ખુલાસો પૂછવા પોલીસ કમિશનરનું તેડું
ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 જિંદગીઓ બળીને ભડથુ થઈ ગઈ હતી. આ ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ હોય જેને શહેરના તમામ વેપારીઓ અને ધંધાર્થીઓને બંધનું સમર્થન કરી ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરી છે. ત્યારે બંધ પૂર્વે પ્ર.નગર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ પરસોતમભાઈએ જંકશન પ્લોટ વેપારી એશોસિએશનના પ્રમુખ ગૌરવ પુજારાને ફોન કરીને તમામ વેપારીઓના નામ, સરનામા, નંબર સાથેની યાદી આપો તેવી વાત કરી હતી
આ સમગ્ર વાતચીતનો ઓડિયો વાયરલ થતા વિવાદ જાગ્યો હતો. ઓડિયોમાં હેડકોન્સ્ટેબલ પરસોતમભાઈએ વેપારીઓને ધરાર બંધ કરાવવા કોંગ્રેસ પ્રયાસ નથી કરતી તે ક્ધફર્મ કરવા આ યાદી મંગાઈ રહ્યાનું જણાવે છે, ત્યારે વેપારી અમને કોઈએ કશુ દબાણ કર્યું નથી તેમ જણાવે છે. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ ધસી ગયા હતા અને રજૂઆત કરી હતી. બંધની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસના આગેવાનો શહેર પોલીસ કમિશનરને મળ્યા હતા અને હેડકોન્ટેબલ પરસોતમભાઇએ વેપારીઓને કોલ કરી બંધ નહીં પાડવા માટે ધમકાવતો હોવાની રજૂઆત કરી હતી. જેના પગલે તેના પુરાવા પોલીસ કમિશનરે માંગી તપાસ કરાવી હતી.
જોકે પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં આક્ષેપોમાં તથ્ય મળ્યું નથી આમ છતાં પુરાવાઓની તપાસ જારી રાખવામાં આવી છે.