યુનિ.માં નવા સત્રથી વર્ષમાં બે વખત એડમિશન: યુજીસી
12મું પાસ કરીને દેશની યુનિવર્સિટીઓમાં અને ડિગ્રી કોલેજોમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવે યુનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થી વર્ષમાં 2 વાર એડમિશન લઈ શકે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુજીસીના ચેરમેન એમ. જગદીશ કુમારે મંગળવાર 11 જૂને આ વિશે જાણકારી આપી હતી.
તેઓએ જણાવ્યું કે, આ નિર્ણય 5 મેના રોજ મળેલી યુજીસીની મિટિંગમાં લેવામાં આવ્યો હતો. તે અનુસાર યુજીસી યુનિવર્સિટીઓને હવે વર્ષમાં બે વાર એડમિશન કરાવવાની છૂટ આપવામાં આવશે.
આ નિર્ણય બાદ હવે જે વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રમાં એડમિશન નહોતા લઈ શકતા, તેને આખું વર્ષ રાહ જોવી નહી પડે. યુજીસીએ હાયર એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ્સને રેગ્યુલર મોડમાં વર્ષ દરમિયાન બે વાર વિદ્યાર્થીઓને એડમિશન આપવાની મંજૂરી આપી દીધી છે. યુજીસીનો આ મહત્વનો નિર્ણય શૈક્ષણિક સત્ર 2024-25થી લાગુ કરવામાં આવશે. તેથી હવે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જુલાઈ-ઓગસ્ટ પછી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે.
યુજીસીના ચેરમેન એમ. જગદીશ કુમારનું કહેવું છે, કે જો યુનિવર્સિટીઓ અને ડિગ્રી કોલેજો વર્ષમાં બે વાર વિદ્યાર્થીઓને એડમિશન આપે તો, વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. તેઓએ જણાવ્યું કે, બોર્ડનું રિઝલ્ટ મોડુ જાહેર થવાના કારણે જુલાઇ-ઓગસ્ટના સત્રમાં યુનિવર્સિટીમાં એડમિશન ન લઈ શકતા વિદ્યાર્થીઓ અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ કે કેટલાક વ્યક્તિગત કારણોથી પ્રવેશ ચૂકનારને આ યોજનાથી રાહત મળશે. તે બીજા સત્રમાં એડમિશન લઈ શકે છે. ચેરમેને જણાવ્યું કે, વિશ્વની યુનિવર્સિટીઓમાં પહેલાથી જ બે વાર એડમિશનની પ્રક્રિયાનું પાલન થાય છે. એવામાં ભારતીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પણ આ પ્રક્રિયાને અપનાવીને વૈશ્વિક સ્તરે પ્રચલિત શૈક્ષણિક માપદંડોની બરાબરી કરી શકશે. જોકે આ દરમિયાન તેઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે, યુનિવર્સિટીઓ માટે વર્ષમાં બે વાર એડમિશન આપવું ફરજિયાત નહી હોય. જણાવી દઈએ કે, અત્યાર સુધી દેશની તમામ યુનિવર્સિટીઓમાં અને કોલેજોમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે વર્ષમાં એકવાર જ પ્રવેશ લઈ શકાતો હતો.