ત્રાપજ પાસે ટ્રેકટર-એસટી બસ ટકરાતાં યુવાનનું મોત
તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે એસ.ટી. બસના ચાલકે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જતા મોરચંદ ગામના એક યુવાનનું કરૂૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
મળતી વિગત અનુસાર, ઘોઘા તાલુકાના મોરચંદ ગામે રહેતા પૃથ્વીરાજસિંહ ભોજુભા ગોહિલ અને તે જ ગામના ઘુસાભાઈ સવજીભાઈ બારૈયા આજે બુધવારે સવારના સમયે ટ્રેક્ટર લઈને મોરચંદથી તળાજા આવી રહ્યા હતા. ત્યારે ત્રાપજ ગામે જીઈબી ઓફિસની સામે પહોંચતા એસ.ટી. બસ નં.જીજે.18.ઝેડ. 2631ના ચાલકે ટ્રેક્ટરની પાછળના ભાગે રહેલ કટર સાથે બસ ભટકાડતા ટ્રેક્ટર પલટી મારી જતાં પૃથ્વીરાજસિંહ ભોજુભા ગોહિલનું સ્થળ પર જ મોત થયું હતું.
તેમજ ઘુસાભાઈ બારૈયાને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા.બનાવ અનુસંધાને મૃતકના કુટુંબી ભાઈ ભરતસિંહ દાનુભા ગોહિલ (ઉ.વ.35)એ એસ.ટી. બસના ચાલક સામે અલંગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે આઈપીસી 304એ, 279, 337, 338, એમ. વી. એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.