કલ્યાણપુરના લાંબા ગામે ત્રણ-ત્રણ વખત સિઝેરીયન પ્રસૂતિની પીડાથી કંટાળેલી મહિલાનો આપઘાત
ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : રાણપરડાની સીમમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો : પોથીયાત્રાના યુવાનનો ભોગ લેતો હાર્ટએટેક
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા જેઠીબેન રામસંગભા માણેક નામના 32 વર્ષના હિન્દુ વાઘેર મહિલાએ ગત તારીખ 6 જૂનના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે પોતાના હાથેથી ઘરના પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.
મૃતક જેઠીબેનને ત્રણ વખત સીઝેરીયન ડિલિવરી થઈ હતી. જેના દુખાવાથી કંટાળીને તેમણે આ પગલું ભરી લીધું હોવા અંગેની જાણ મૃતકના પતિ રામસંગભા જખરાભા માણેક (ઉ.વ. 33)એ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
મહિલાનો મૃતદેહ સાંપડ્યો
કલ્યાણપુરથી આશરે 16 કિલોમીટર દૂર રાણપરડા ગામની સીમમાં એક આસામીની વાડી પાસે એક મહિલાનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક રહીશ મેરામણભાઈ લખમણભાઈ ગોરાણીયાએ સ્થાનિક પોલીસને કરી હતી. જેથી પોલીસ સ્ટાફએ આ સ્થળે દોડી જઈને તપાસ કરતા આશરે 55 થી 60 વર્ષના કોઈ અજાણ્યા મહિલાનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં અહીં પડ્યો હતો. આથી કલ્યાણપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ તેમજ મૃતકના વાલી-વારસ શોધવા સહિતની કાર્યવાહી કરી હતી.
હૃદયરોગનો જીવલેણ હૂમલો
કલ્યાણપુર ઓખા નજીકના પોશીત્રા ગામના વાડી વિસ્તારમાં રહેતા કનુભાઈ ગોવાભાઈ વસરા નામના 42 વર્ષના આહીર યુવાન શનિવારે તેમના ખેતરે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ પાલાભાઈ કારાભાઈ વસરા (ઉ.વ. 35) એ ઓખા મરીન પોલીસને કરી છે.