નર્સ સાથે આડા સંબંધ ધરાવતા શિક્ષક પતિએ ‘તું મને છૂટાછેડા આપી દે’, તેમ કહી પત્નીને માર માર્યો
કુવાડવાની ઘટના : પરિણીતાએ ચાર વર્ષ પહેલાં પતિને પ્રેમલીલા કરતાં રંગે હાથ ઝડપી લેતા ટીમ અભયમે સમાધાન કરાવ્યું’તું
કુવાડવા ગામે રહેતા શિક્ષકે નર્સ સાથેના આડા સંબંધના કારણે પત્નીને ‘તું મને છુટાછેડા આપી દે’ તેમ કહી માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. માર મારનાર શિક્ષક પતિ ચાર વર્ષ પૂર્વે પત્નીના હાથે રંગે હાથ ઝડપાયો હતો. ત્યારે 181 મહિલા હેલ્પલાઈનની ટીમે સમાધાન કરાવ્યું હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા ગામે આવેલા ગુલાબનગરમાં રહેતી ભાવનાબેન બાવનપરી ગૌસ્વામી નામની 42 વર્ષની પરિણીતા તેના ઘરે હતી ત્યારે તેના શિક્ષક પતિ બાવનપરી ગૌસ્વામીએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં ભાવનાબેનના પતિ બાવનપરી ગૌસ્વામી કુવાડવા ગામે આવેલી સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષક પતિ બાવનપરી ગૌસ્વામીને મુળ બિહારની વતની અને હાલ રાજકોટમાં ફરજ બજાવતી વિધવા નર્સ સાથે આડા સંબંધ છે. અગાઉ ચાર વર્ષ પહેલા ભાવનાબેને પતિ બાવનપરી ગૌસ્વામી અને તેના પ્રેમિકાને રંગે હાથ ઝડપી લીધા હતાં.
જે સમયે થયેલા ઝઘડાનું 181 મહિલા હેલ્પની ટીમે સમાધાન કરાવ્યું હતું. તેમ છતાં પરસ્ત્રીનાં પ્રેમમાં પાગલ બનેલા શિક્ષક પતિએ પત્ની ભાવનાબેન ગૌસ્વામીને ‘તું મને છુટાછેડા આપી દે’ તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે કુવાડવા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.