કુખ્યાત ગુલિયા ગેંગને પકડવા રહેઠાણ-આશ્રય સ્થાને દરોડા
ટોળકીને પકડવા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી
મોઇન પણ વ્યાજખોરીનો ધંધો કરી નાના માણસો પર ગુજારે છે ત્રાસ
રાજકોટમાં છેલ્લા પાંચેક વર્ષ શાંત રહ્યા બાદ ફરી ભગવતીપરાની ગુલીયાગેંગે તેના લખણ ઝળકાવ્યા છે.ત્યારે ભગવતીપરાના સુખસાગર હોલ પાસે જમીન મકાનના ધંધાર્થી પર જાહેરમાં જ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો.બનાવ સ્થળે લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા.તેમજ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.ત્યારબાદ પોલીસે આરોપીઓના રહેઠાણ સ્થળોએ તેમજ આશ્રય સ્થાનો પર દરોડા પાડ્યા હતા.તેમજ પોલીસની અનેક ટીમો આરોપીઓને પકડવા કામે લાગી ગઈ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
વધુ વિગતો મુજબ,ભગવતી પરામાં આવેલા અયોધ્યા પાર્કમાં રહેતા મોઇનભાઇ અનવરભાઈ જુણેજા(ઉ.વ.27)એ નામચીન શખ્સોમાં ગુલમહમદ ઉર્ફે ગુલીયો ઈબ્રાહીમ મોડ,તેમના ભાઈ નાસીર ઇબ્રાહીમ મોડ,સલીમશા હનીફશા શાહમદાર,સદામ હનીફશા શાહમદાર અને સાવન મીઠા પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝનમાં કાવતરું,હુમલો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ શેખ અને સ્ટાફે વધુ તપાસ શરૂ કરી હતી.સમગ્ર ઘટના મામલે મોઇનને અને ગુલમહમદ ઉર્ફે ગુલીયા સાથે જૂનું મનદુ:ખ ચાલતું હોવાનું સામે આવ્યું છે.મોઇન સુખ સાગર હોલ નીચે જ સબર નામની ઓફીસ ધરાવે છે.
આ સમગ્ર ઘટના મામલે સ્થાનિક લોકોના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,ગુલિયા ગેંગના હુમલાનો ભોગ બનેલો મોઈન અનવર જુણેજા,તેનો ભાઈ માહીદ અનવર જુનેજા તેમજ તેની માતા વ્યાજવટાવનો ધંધો કરે છે.તેઓએ ઘણા પરિવારને બરબાદ કરી દીધા છે.અગાઉ મોઇન પર ફરિયાદ પણ નોંધાઈ હતી.જેમાં તેમણે એન્જીનીયરીંગ છાત્ર આરીફ સુલેમાન હાલા પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો.આશરે ચાર પાંચ મહિના પહેલા હડાળા ગામના એક અનાથ યુવાનની રીક્ષા આ મોઈન અને તેની માતાએ પડાવી લીધી હતી.આ સમગ્ર ઘટના અંગે બી ડીવીઝન પીઆઇ એસ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે,આરોપીઓને પકડી લેવા અલગ અલગ ટીમોએ રહેઠાણ સ્થળો અને આશ્રય સ્થાને દરોડા પાડ્યા હતા.તેમજ આરોપીઓને જલ્દી પકડી લઈ કાયદાનું ભાન કરાવાશે.