રાજકોટની સગીરાને વેચી વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો કારસો
વૃદ્ધની ચુંગાલમાંથી ભાગી રાજકોટ જંકશન પહોંચેલી સગીરાને સહાનુભૂતિ આપી દંપતી પોતાના ઘરે લઇ જઇ ગોરખધંધામાં ધકેલી
માતાના મોત બાદ સાવકા પિતાએ રૂા.50 હજારમાં પુત્રીને એક વૃદ્ધને વેચી દીધી
રાજકોટ શહેરમાં ચકચાર મચાવી દે તેવી ઘટના બની છે.રાજકોટમાં રહેતી એક સગીરાને તેના સાવકા પિતાએ 50 હજારમાં મુંબઈમાં એક વૃદ્ધને વેચી દીધી હતી.આ વૃદ્ધ સગીરાને ટ્રેનમાં બિહાર લઇ જતા હતા.ત્યારે તે સગીરા બહાનું બતાવીને ત્યાંથી નીકળી રાજકોટ આવતી ટ્રેનમાં આવી ગઈ હતી.રાજકોટ પહોંચ્યા બાદ જંક્શન પર એકલી બેઠી બેઠી રડતી હતી ત્યારે ત્યાંથી પસાર થતા એક દંપતીએ તેને સહાનુભૂતિ બતાવી પોતાની ઘરે લઇ ગયા હતા.
ત્યાં આ કુમળી વયની સગીરા કે જેને આ સંસારની પણ ખબર નથી તેમને લોહીના વેપારમાં ધકેલી દીધી હતી.
જે દંપતી સગીરાને પોતાના ઘરે લઇ ગયા ત્યાં તેને ગોંધી રાખતા હતા અને ત્યાં યુવકો આવી પોતાનો હવસ સંતોષતા હતા અને સામૂહિક દુષ્કર્મ આચરતા હતા.સમગ્ર બાબતની જાણ 181 મહિલા અભયમ ટીમને થતા તેને સગીરાને આ ગોરખ ધંધામાંથી બચાવી લઈ પોલીસને સોંપી હતી.જોકે હાલ કુવાડવા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.
વધુ માહિતી આપતા 181 ટીમના કાઉન્સેલર શિલ્પાબેને વિગતો આપતા જણાવ્યું હતું કે,મૂળ નેપાળની સગીરા અને તેના પરિવારજનો 15 વર્ષથી રાજકોટ રહે છે.સગીરાના પિતાનું અવસાન થયા બાદ તેની માતાએ બીજા લગ્ન કરી લીધા હતા.6થી 7 મહિના પહેલાં તેની માતાનું અવસાન થયું હતું. સાવકા પિતા તેને ફરવા લઈ જવાનું કહીને મુંબઈ લઈ ગયા હતા.જ્યાં તેણીને રૂૂ.50 હજારમાં એક વૃદ્ધને વેચી દીધી.આ વૃદ્ધ તેને બિહાર લઈ જતા હતા.ત્યારે રસ્તામાં ટ્રેન ઊભી રહેતા સગીરા કોઈ બહાનું કરીને વૃદ્ધની ચુંગાલમાંથી ભાગી અને રાજકોટ ટ્રેનમાં આવી પહોંચી હતી.
જે દંપતીએ તેને સહાનુભૂતિ બતાવીને પોતાના ઘરે લઇ ગયા તે વાલી વારસદાર વગરની છોકરીઓ પાસે દેહવ્યાપાર કરાવતા હોવાનું જાણવા મળ્યું છે.દંપતી સગીરાને ઘરે લઈ ગયા બાદ તેને તૈયાર થવાનું કહ્યું અને તેના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા અને યુવકોને તેના ઘરે બોલાવતા હતા.
જો સગીરા કોઈ આનાકાની કરે તો હથિયાર બતાવીને તેના પર હુમલો કરાવતા હતા.જેના શરીર પર નિશાન પણ જોવા મળતા હતા.સગીરાને ઘરમાં જ રાખતા હતા અને બહારથી તાળું મારી દેતા હતા.આ ઉપરાંત તેનો મોબાઈલ પણ સંતાડીને રાખતા હતા.રિયાને પાંચેક દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી હતી.
જ્યારે દંપતી ઘરમાં નહોતું ત્યારે તે તકનો લાભ લઇને ઘરમાંથી ભાગી નીકળી હતી.બાજુની વિંગમાં પહોંચી ગઈ હતી.બાજુની વિંગમાં પહોંચ્યા બાદ બહાર રમતા બાળકની મદદ લીધી હતી અને ત્યાં રહેતા પાડોશીની મદદથી 181 સુધી પહોંચી હતી.ત્યાં સમગ્ર હકીકત 181ના સ્ટાફને જણાવી હતી.ત્યારબાદ સગીરાને કુવાડવા પોલિસને સોંપવામાં આવતા વધુ તપાસ કરી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવા તજવીજ શરૂૂ કરી છે.
આ સમગ્ર મામલે હવે કુવાડવા પોલીસ મથકના પીઆઇ રાઠોડ અને મહિલા પોલીસ સ્ટાફ દ્વારા સગીરાની પૂછપરછ કરવામાં આવી રહી છે.તેમજ આ ઘટના બની તે વિસ્તાર વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. તેમજ સગીરાના સાવકા પિતાને પકડી લેવા પણ તજવીજ શરૂ કરવામાં આવી રહી છે. તેમજ રેલવે જકંશન વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી સગીરાને ફોસલાવીને ઘરે લઇ ગયેલા દંપતિની ઓળખ મેળવવા તપાસ ચાલી રહી હોવાનું પીઆઇ રાઠોડ અને ટીમે જણાવ્યુ હતું.