અમદાવાદમાં BRTSની ત્રણ બસમાં રાત્રે લાગેલી ભેદી આગ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ જડેશ્ર્વર બસ ડેપોમાં પાર્ક કરેલી બીઆરટીએસની ત્રણ ઈલેક્ટ્રીક બસમાં ગત રાત્રે ભેદી સંજોગોમાં આગ ફાટી નિકળતા ત્રણેય બસ આગમાં ખાખ થઈ ગઈ હતી. જેના કારણે આ ભેદી ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાઁ આવી છે. બસ ડેપોમાં પાર્ક કરેલી આ ત્રણેય બસોમાં ઈલેક્ટ્રીક સોર્ટસર્કીટ કે અન્ય આકસ્મીક કારણસર આગ લાગી છે કે કોઈ દ્વારા લગાડવામાં આવી છે તે અંગે તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા જડેશ્ર્વર બસ ડેપોમાં ગત રાત્રે 11 વાગ્યા બાદ પાર્ક કરવામાં આવેલી બીઆરટીએસની ત્રણ ઈલેક્ટ્રીક બસોમાં ગતરાત્રી દરમિયાન અચાનક આગ ફાટી નિકળી હતી અને બાજુબાજુમાં જ પડેલી આ ત્રણેય બસ આગમાં ખાખ થઈ ગઈ હતી. ચાલુ વરસાદે ઈલેક્ટ્રીક બસોમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પરંતુ ત્રણેય બસ આગના કારણે હાડપીંજરમાં ફેરવાઈ ગઈ હતી.
આ ઈલેક્ટ્રીક બસોમાં ક્યા કારણે આગ લાગી તે અંગે તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. કોઈએ ઈરાદાપૂર્વક આગ લગાડી છે કે, ઈલેક્ટ્રીક સોર્ટસર્કીટના કારણે આગ લાગી છે તે અંગે શંકા કુશંકાઓ હોઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.