સુરત ખાણ ખનીજના અધિકારી વતી બે લાખની લાંચ લેતા વચેટિયો પકડાયો
રેતીની રોયલ્ટી પરમિટ બાબતે હેરાનગતિ નહીં કરવા લાંચ માંગી હતી
સુરત ખાનણખનીજ વિભાગના ક્લાસ-1 અધિકારી વતી બે લાખની લાંચ લેતા વચેટિયાને અમદાવાદ એસીબીએ રંગેહાથ ઝડપી લઈ ખાણખનીજ વિભાગના સુરતના ફ્લાઈનસ્કોડના મદદનીશ નિયામક અને વચેટિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. રેતીની રોયલ્ટીની પરમીટ બાબતે હેરાનગતિ નહીં કરવા માટે બે લાખની લાંચ માગી હતી.
આ મામલે જાગૃત નાગરિકે એસીબીને કરેલી ફરિયાદમાં સીમાડા રોડ સુરત ખાતે મંડળી વતી મળેલી રોયલ્ટીની પરમીટમાં ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં હેરાનગતિ નહીં કરવા માટે અને ખાણખનીજ વિભાગના અધિકારી સાથે સેટીંગ બાબતે સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલ સંસ્કારવિલા સોસાયટીમાં રહેતા કપિલ પરસોતમ પ્રજાપતિએ બે લાખની લાંચ માગી હતી. આ મામલે કપીલ તેમજ સુરતના ખાણખનીજ વિભાગના ફ્લાઈંગસ્કોડના મદદનીશ નિયામક ક્લાસ-1 અધિકારી નરેશ જાની સામે થયેલી ફરિયાદના આધારે અમદાવાદ એસીબીએ સુરતના મહાદેવ માર્કેટીંગ જૂના સિમાડા બીઆરટીએસ રોડ પર યોગી ચોક પાસે છટકુ ગોઠવ્યું હતું. અને આ છટકામાં રૂપિયા બે લાખની લાંચ લેતા નરેશ જાની વતી કપીલ પરસોતમ પ્રજાપતિ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક જીવી પઢેરિયાના માર્ગદર્શન હેઠળ પીએ ડી.બી. મહેતા અને શ્રીમતિ એ.કે. ચૌહાણ અને તેમની ટીમે આ સફળ છટકુ ગોઠવ્યું હતું. એસીબીએ કરેલા છટકામાં બે લાખની લાંચ લેતા કપિલ પ્રજાપતિ ઝડપાઈ ગયો હતો જ્યારે ખાણખનીજ વિભાગનો અધિકારી નરેશ જાની ભાગી ગયો હોય તેની ધરપકડ માટે એસીબીએ તજવીજ હાથ ધરી છે.