વાંકાનેરના વિઠલપરમાંથી આધેડની કૂતરાએ ફાડી ખાધેલી હાલતમાં શંકાસ્પદ લાશ મળી
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા આધેડ ચાર દિવસ પૂર્વે ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા અને લાપતા થયેલા આધેડનો વિઠ્ઠલપર ગામના તળાવમાંથી કુતરાએ ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આધેડના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા હીરાભાઈ ધનાભાઈ અણીયારીયા નામના 58 વર્ષના આધેડ ગત તા.31 ના રોજ ઘરેથી આંટો મારવા જવાનું કહી પોતાનું બાઈક લઈને નીકળ્યા હતા. ચાર દિવસ પૂર્વે ઘરેથી નીકળેલા હીરાભાઈ અણિયારીયાનો ગઈકાલે વિઠ્ઠલપર ગામના તળાવમાંથી કુતરાએ ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આધેડના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક હીરાભાઈ અણિયારીયા ગત તારીખ 31 ના રોજ આંટો મારવાનું કહી ઘરેથી પોતાનું બાઈક લઈને નીકળ્યા હતા પરંતુ પરત નહીં ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન વિઠ્ઠલપર ગામના સ્મશાન પાસેથી બાઈક અને ફોન મળી આવ્યા હતા જેના આધારે શોધખોળ કરતા હીરાભાઈ અણિયારીયાનો મૃતદેહ આશરે એક કિલોમીટર દૂર તળાવમાંથી કુતરાએ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આધેડના મોત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.