ભાવનગરના પાલિતાણા પંથકમાં દીપડાએ મહિલાને ફાડી ખાધી
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા મહિલાનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું છે. આ બનાવને પગલે ગામમાં અરેરાટી સાથે ભયની લાગણી ફેલાઈ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારોમાં રાની પશુઓના આટા ફેરા વધી ગયા છે. સમયાંતરેની પશુઓ દ્વારા પશુઓનું મારણ કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે આજે પાલીતાણા નજીક આવેલ આદપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા કાંતુબેન ગોબરભાઇ મકવાણા (ઉં.વ. 55 ) વહેલી સવારે 5:00 વાગ્યા આસપાસ ઘરની બહાર કોઈ કામ માટે ગયા હતા તે દરમિયાન દીપડાએ તેમની ઉપર હુમલો કરતા કાંતુબહેનને ગંભીર ઈજા પહોંચી હતી.દીપડાએ કરેલા હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી ગયું હતું.આ ઘટનાના પગલે આદપુર અને આસપાસના ગામોમાં પણ અરેરાટી સાથે આઘાતની લાગણી ફેલાઈ છે.